September 24, 2024

ગીર સોમનાથમાં “સર્પદંશથી પણ ઝેરી અંધશ્રદ્ધા”, ડોક્ટરે લોકોને ચેતવ્યા

અરવિંદ સોઢા, વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં વર્ષાઋતુના આગમન સાથે સર્પદંશના બનાવોમાં વધારો નોંધાયો છે. આધુનિક મેડિકલ સાયન્સ કોઈપણ પ્રકારના સર્પદંશથી વ્યક્તિને બચાવવા સક્ષમ બન્યું છે પરંતુ હજુ અંધશ્રદ્ધાનું ઝેર લોકોને મારી રહ્યું છે, દાયકાઓથી વેરાવળ શહેરમાં પ્રેક્ટિસ કરતા તબીબ અનુસાર ઘણા લોકો તબીબી સારવારને બદલે સર્પદંશના બનાવોમાં અંધશ્રદ્ધાનો આશ્રય લેતા જોવા મળી રહ્યા છે. સાપ કરડે ત્યારે લોકો દાણા જોવડાવવા અથવા દોરા-ધાગા બંધાવવા જાય છે અને ઘરે સ્વસ્થ થવાની રાહ જોવે છે. જેના કારણે ઘણી વખત નિર્દોષ દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

સામાન્ય રીતે વર્ષાઋતુમાં વધુ માત્રામાં સર્પદંશના બનાવોના બનાવ નોંધાઈ રહ્યા છે. ગંભીર બાબત એ છે કે ઘણા પીડિતો ડોક્ટરની સારવાર લેવાને બદલે દોરા ધાગા, તાવીજ કે ભુવાની મદદ લેવાનું વધુ પસંદ કરે છે. આના કારણે ઘણીવાર દર્દીઓનું મૃત્યુ પણ થઈ જાય છે. દર્દીના નામની ગુપ્તતા જાળવી ડોક્ટર ધોળકિયા જણાવે છે કે, એક ગર્ભવતી સ્ત્રી સ્નેક બાઇટના બનાવમાં હોસ્પિટલે મોડા પહોંચતા તેમનું મૃત્યુ થાય છે. આવા બનાવો ડોક્ટરો માટે પણ દુઃખદાયક સાબિત થાય છે. ડોક્ટરો આવી અંધશ્રદ્ધા સામે ખુલ્લા મનથી ચેતવણી આપી રહ્યા છે. તેઓ ભાર મૂકે છે કે સાપ કરડ્યા પછી તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જરૂરી છે. દોરા-ધાગા, તાવીજ કે ભુવાની મદદ કોઈપણ રીતે કારગત નથી અને તેનાથી દર્દીનું જીવન જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો: પ્રથમ વરસાદમાં જ સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર દોઢ ફૂટ મોટા ખાડા પડ્યા

ડોક્ટર લોકોને ચેતવણી આપી રહ્યા છે કે, સર્પદંશ એ ગંભીર બાબત છે તેને હળવાશથી લેવી જોઈએ નહીં. જો તમને કે તમારા કોઈ પરિચિતને સર્પ કરડે તો સર્પદંશ થયો હોય તે અંગને સ્ટીક વડે બાંધી હલનચલન ન થાય તે રીતે ઇમમોબિલાઇઝ કરવો જોઈએ, અને નજીકની હોસ્પિટલમાં જઈ તાત્કાલિક ડોક્ટરની સારવાર લેવી જોઈએ.

હોસ્પિટલમાં સ્નેક બાઇટના કેસમાં જ સારવાર લઈ રહેલ એક મહિલાના કાકા વનાભાઈ ગઢીયા જણાવે છે કે, “મારી દીકરીને સાપ કરડ્યો હતો. અમે તેને તરત જ હોસ્પિટલે લઈ આવ્યા, ડોક્ટરે મહેનત કરી અને મારી દીકરી બચી ગઈ. જો અમે સમયસર ન આવ્યા હોત તો મારી દીકરી જીવિત ન હોત, હું બધાને કહું છું આવા બનાવવામાં કોઈ ભુવા ભરાડી પાસે ન જાય અને ડોક્ટર પાસેજ જવું જોઈએ.”

જ્યારે વાત કોઈના જીવની હોય ત્યારે સમાજે એકી સાથે આવી અંધશ્રદ્ધાઓ સામે લડીને માનવતાને જીતાડવી પડશે કારણ કે “સર્પદંશના ઝેરમાંથી તો કદાચ જિંદગી બચી જશે, પરંતુ અંધશ્રદ્ધાનું ઝેર સમાજની પેઢીઓને ભરખી જશે.”