October 8, 2024

Car Tips: આ રીતે વધારો કારની બેટરીની ‘આવરદા’

અમદાવાદ: કારને યોગ્ય રીતે ચલાવવા માટે બેટરી યોગ્ય રીતે કાર્ય કરે તે જરૂરી છે. પરંતુ ઘણી વખત લોકોને બેટરીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે. તેમાં પણ લાંબી મુસાફરીમાં ગયા હોય અને રસ્તામાં કાર ઉભી રહી જાય તો હેરાન હેરાન થઈ જવાઈ છે. ત્યારે આજે અમે અમારા આ અહેવાલમાં તમને જણાવીશું કે બેટરીની લાઈફ કેવી રીતે વધારી શકાય.

કાર સ્ટાર્ટ કરવામાં સમસ્યા
કોઈપણ કારમાં બેટરી યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો કાર સ્ટાર્ટ કરવા જેવા અનેક કામ મુશ્કેલ બની જાય છે. આ સાથે જો એવા રસ્તામાં કાર ઉભી રહી જાય કે જયાં તેને રિપેર કરવા વાળા પણ ના મળે ત્યારે મહા મુસિબત જેવું લાગે છે. કેમકે કારને મૂકીને પણ ના જવાઈ કે રિપેર થાય. પરંતુ અમે તમને આજે જણાવીશું કે તમારી કારની બેટરની આવરદા વધારી શકાય છે.

આ રાખો ધ્યાન
બેટરીની લાઈફ વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં જયારે પણ તમે કારમાં બેટરી લગાવો છો ત્યારે તેને સરખી રીતે ફિટ કરવામાં આવે. જો તે સરખી રીતે ફિટ કરવામાં આવતી નથી તો રસ્તામાં ખાડાઓના કારણે તેની સ્થિતી આગળ પાછળ થઈ જાય છે અને તે ખરાબ થઈ શકે છે. સાથે બેટરીના ટર્મિનલ્સને પણ ચુસ્ત રાખવા જોઈએ. બેટરીની આસપાસ સ્વસ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે નથી રાખતા તો તેની પણ અસર પડી શકે છે. ઘણી વખત બેટરીના ટર્મિનલ્સ પર સફેદ રંગનો પદાર્થ એકઠો થાય છે. જો તેને સાફ ન કરવામાં આવે તો તે લાંબા સમય સુધી જમા થવાને કારણે તેને દૂર કરવું થોડું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને આ વારંવાર બનવાના કારણે તેની બેટરીની ક્ષમતાને ભારે અસર થાય છે. જેમ બને તેમ ગ્રીસનો ઉપયોગ કરશો નહીં. બેટરીની લાઈફ વધારવા માટે ટર્મિનલ પર ગ્રીસનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના બદલે, બેટરીના ટર્મિનલ્સ પર વેસેલિન અથવા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો વધુ સારું છે. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી બેટરીની આવડદા વધી શકે છે અને રસ્તામાં નહીં કરે તમને હેરાન.