પોરબંદર સુદામા મંદિરથી દ્વારકા પદયાત્રાનું ભાઈશ્રી રમેશ ઓઝાએ પ્રસ્થાન કરાવ્યું

પોરબંદર: ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદરમાં આવેલ છે જ્યાં દર વર્ષે અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લાભ મળે છે. આજે સવારે 7 વાગ્યાથી અખાત્રીજના દિવસે પોરબંદરના સુદામા મંદિર ચરણસ્પર્શ કરવાનો લાભ ભક્તો લાભ લઈ રહ્યા છે. તેમજ પોરબંદરથી દ્વારકા પદયાત્રાનું પણ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

પ્રાચીન કાળથી પ્રસિદ્ધ એવા વિશ્વમાં એકમાત્ર શ્રી સુદામા મંદિરે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજે ભગવાન શ્રી કૃષ્ણના એકમાત્ર મિત્ર એવા શ્રી સુદામાજીના મંદિર ખાતે વર્ષમાં એક વખત અખાત્રીજના દિવસે મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળતો હોય એ દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ વહેલી સવારે 07:00થી રાત્રે 08:00 સુધી દરમ્યાન નીજ મંદિરમાં જઈને શ્રી સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે તે રીતે દરેક ભક્તજનો તેઓ લ્હાવો લઇ શકશે. આ અખાત્રીજના ખાસ દિવસે વહેલી સવારે મહાઆરતી સાથે ધ્વજારોહણ પણ કરવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી સુદામાજીના ચરણ ધોયા હતા પ્રાચીન ધાર્મિક ઇતિહાસમાં આ દિવસનું મહત્વ જોઈએ તો શ્રી સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને ભેટ સ્વરૂપે તાન્દુલની પોટલી લઇને દ્વારિકા મળવા માટે જઈ રહ્યા હોય અને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી સુદામાજીના ચરણ ધોયા હતા અને ચરણ સ્પર્શ કર્યા હતા. તેથી તમામ ભક્તજનો આ દિવસે તેમને તાન્દુલની ભેટ લઈને વળાવવા માટે આવતા હોય છે. આ પ્રસંગે દરેક ભક્તજનોને મંદિરની પરંપરા મુજબ શ્રી સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લહાવો મળે છે. સાથે જ મંદિરમાં બિરાજમાન શ્રી સુદામાજીના ધર્મપત્ની શ્રી સુશીલાદેવીજી તથા શ્રી રાધે-કૃષ્ણની મૂર્તિના દર્શનનો લાભ લઈને દરેક ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

આજે શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા છલ્લા પાંચ વર્ષથી પોરબંદરથી દ્વારકાની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે પાંચમાં દિવસે દ્વારકા ખાતે પહોંચશે. આ યાત્રા દરમ્યાન રાત્રિ મુકામ સમયે ધર્મસભાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રામાં અંદાજે 500થી વધુ લોકો જોડાય છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સુદામા મંદિરના પટાંગણમાં આવેલ પદયાત્રીને આજનું મહત્વ સમજાવ્યું હતું અને આ પદયાત્રાનું સુદામા મંદિરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને પોરબંદરના કલેક્ટર એસ. ડી.ધાનાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું.