રશિયા-યુક્રેન યુદ્ધ પર બ્રેક! પુતિને 8-10 મે સુધી યુદ્ધવિરામની કરી જાહેરાત

Russia Ceasefire In Ukraine: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બીજા વિશ્વયુદ્ધના વિજય દિવસ નિમિત્તે 8 થી 10 મે સુધી યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ક્રેમલિને આ નિર્ણયને “માનવતાવાદી ધોરણે” લેવામાં આવ્યો હોવાનું વર્ણવ્યું. આ યુદ્ધવિરામ 8 મેના રોજ સ્થાનિક સમય મુજબ રાત્રે 12 વાગ્યે શરૂ થશે અને 10 મેના રોજ સમાપ્ત થશે.

આ જાહેરાત પહેલા, રશિયા અને યુક્રેન વચ્ચે ભારે બોમ્બમારો થઈ ચૂક્યો છે. બંને દેશોની સેનાઓએ લાંબા અંતરની મિસાઇલોથી એકબીજાને નિશાન બનાવ્યા. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાએ 119 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા, જેમાંથી મોટાભાગના રશિયાના બ્રાયન્સ્ક સરહદી વિસ્તારમાં હતા. તે જ સમયે, યુક્રેનમાં હુમલાની ચેતવણી આપવામાં આવી હતી, જોકે અત્યાર સુધી આ હુમલાઓમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

રશિયાએ યુદ્ધવિરામનો નિર્ણય કેમ લીધો?
રશિયા દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામનો હેતુ બીજા વિશ્વયુદ્ધના વિજય દિવસ નિમિત્તે શાંતિ જાળવવાનો છે, આ દિવસે દુનિયા નાઝી જર્મનીની હારને યાદ કરે છે. ઐતિહાસિક રીતે, આ દિવસ ભૂતપૂર્વ સોવિયેત યુનિયન માટે ખૂબ મહત્વ ધરાવે છે, અને રશિયાને આશા છે કે યુદ્ધવિરામ એક નવી શરૂઆતનું પ્રતીક બની શકે છે.

શાંતિ મંત્રણા વચ્ચે રશિયા પર હુમલાનો આરોપ
રશિયાનું આ પગલું યુદ્ધગ્રસ્ત દેશોમાં કેટલી શાંતિ સ્થાપિત કરવામાં સફળ રહેશે તે જોવાનું બાકી છે. પુતિનના આ નિર્ણયને યુદ્ધવિરામ તરીકે જોવામાં આવી રહ્યો છે જે યુક્રેન સાથે નવા સંવાદના દ્વાર ખોલી શકે છે, પરંતુ બંને દેશો તેનું કેટલી ગંભીરતાથી પાલન કરે છે તે પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને રશિયા પર શાંતિ મંત્રણા દરમિયાન પણ હુમલાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.