જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યાં

બનાસકાંઠા: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલની ઘટનામાં બનાસકાંઠના પાલનપુરના અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે 14 ઉપર ફસાયા હતા. જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા. જો કે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડયા હતા. જોકે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. જો કે માત્ર કુદરતી હોનારત જ નહીં પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર માં સર્જયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.
સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ-કાશ્મીરએ પહલગામ આતંકી હુમલા અગાઉ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાનો પણ ભોગ બન્યું હતું. જોકે 12 એપ્રિલે જમ્મુ-કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ રામબન જિલ્લાના નેશનલ હાઇવે નંબર 14 ઉપર ભૂસ્ખલન થવાથી ફસાઈ હતી. ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા. જોકે કલાકો સુધી મદદ માટે તડપતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહી આ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં ખસેડાયા હતા. ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ હતી.
જોકે આ પ્રવાસીઓ કુદરતી હોનારતથી તો પીડિત હતા જ પરંતુ સાથે જ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલો થયો અને તેના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ આખરે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા ભૂસ્ખલનમાં ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો પુનઃ ખુલતા આ તમામ પ્રવાસીઓને સહી સલામત પોતાના વતન મોકલાયા હતા. ત્યારે છેલ્લા છ દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરે વતન પહોંચતા પરિવારજનો સહિત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર આ પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા અને ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કુદરતી હોનારત અને આંતકવાદીઓના હુમલાબાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આંતકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માગ કરી છે.