‘પહલગામ હુમલામાં અમારો હાથ નથી’, ભારતના ડરથી TRFની પીછેહઠ; અગાઉ લીધી હતી જવાબદારી

Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધા બાદ હવે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. ટીઆરએફના પ્રવક્તાએ કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં અમારી કોઈ સંડોવણી નથી. TRFએ તેને ખોટો, ઉતાવળિયો અને સુનિયોજિત પ્રયાસ ગણાવ્યો છે. જેનો ઉદ્દેશ્ય કાશ્મીરના પ્રતિકારની ભાવનાને બદનામ કરવાનો છે.
અમે કોઈના એજન્ટ નથી: TRF
TRFએ પોતાને સ્થાનિક, માનસિક અને નૈતિક પ્રતિકાર ચળવળ તરીકે વર્ણવ્યું છે. અમે કોઈના એજન્ટ નથી કે કોઈ ખોટા ધ્વજનો ભાગ નથી. આ ઘટના માટે TRFને જવાબદાર ઠેરવવું ખોટું અને ઉતાવળિયું છે. કાશ્મીરી પ્રતિકારને બદનામ કરવા માટે એક સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પહલગામ હુમલામાં TRFની કોઈ ભૂમિકા નથી: પ્રવક્તા અહેમદ ખાલિદ
TRF પ્રવક્તા અહેમદ ખાલિદે એક સત્તાવાર નિવેદન જારી કરીને લખ્યું છે કે હુમલા પછી તરત જ સંગઠનના ડિજિટલ પ્લેટફોર્મ પર એક ટૂંકો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે એક સાયબર હુમલાને કારણે થયું હતું. જેમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓ સંડોવાયેલી હોઈ શકે છે. આ કોઈ નવી યુક્તિ નથી અને ભારતીય એજન્સીઓ ઘણીવાર ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ ભ્રમ ફેલાવવા અને ખોટી રીતે જવાબદારી સોંપવા માટે કરે છે.