બનાસકાંઠાના દીકરાનો UPSCમાં 507મો રેન્ક, ચાર વર્ષની મહામહેનત બાદ સફળતા મળી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ આજે દેશમાં યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના પણ એક યુવકે UPSCની પરીક્ષામાં મેદાન માર્યું છે. પાલનપુરના હાઇવે વિસ્તારમાં રહેતા શિક્ષક પુત્રએ 507મા રેન્ક સાથે યુપીએસસી ક્લિયર કરતા પરિવાર સહિતના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

દેશમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં કેટલાક ગુજરાતી સ્ટુડન્ટોએ આ પરીક્ષા ક્લિયર કરી છે. જેમાં બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના એક શિક્ષક પુત્રએ પણ યુપીએસસી ક્લિયર કરી છે. પાલનપુરના ભુતેડી ગામના મૂળ રહેવાસી અને પાલનપુરના હાઇવે સ્થિત એક ખાનગી સોસાયટીમાં રહેતા શિક્ષક કિશોરભાઈ બારોટના પુત્ર બ્રિજેશ બારોટે દેશમાં 507મા રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરતા બારોટ પરિવાર સહિત લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

બ્રિજેશ બારોટે જણાવ્યું કે, 21 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ચાર વર્ષ સતત યુપીએસસીની મહેનત કરી હતી, ત્યારબાદ સફળતા મળી છે. યુપીએસસી ક્લિયર કરવી એ ખૂબ જ કઠિન હોય છે. અગાઉ ચાર વખત પ્રયાસ કર્યો પરંતુ તે પ્રયાસોમાં સફળતા ન મળી. પરંતુ કહેવત છે કે, મક્કમ મનોબળવાળા વ્યક્તિને હિમાલય પણ નથી નડતો.

બ્રિજેશ બારોટના પિતાએ વાત કરતા જણાવ્યું છે કે, આજના યુગમાં બાળકો સોશિયલ મીડિયા સાથે વધુ સમય વિતાવતા હોય છે. જો બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે તો આવી પરીક્ષાઓ પાસ કરી શકે છે. બ્રિજેશની માતાએ જણાવ્યું હતું કે, અગાઉ બ્રિજેશ જ્યારે આ પરીક્ષાઓ ક્લિયર નહોતો કરી શક્યો તે સમયે ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ હવે પુત્ર યુપીએસસી ક્લિયર કરી દેતા ખુશી સમાતી નથી.