અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠક, રાહુલ ગાંધી કામગીરીની સમીક્ષા કરશે

અમદાવાદ: સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, કે.સી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનીક હાજર છે. તેમજ પ્રદેશના તમામ મોટા નેતાઓ હાજર બેઠકમાં છે. આ બેઠકમાં રાહુલ ગાંધી નેતાઓની કામગીરીની સમીક્ષા કરશે અને 2027માં ભાજપને હરાવવા નેતાઓને ટાસ્ક સોંપશે.
કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠક રાહુલ ગાંધીએ સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપવામાં આવશે.
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, રાહુલ ગાંધીએ મહિલાઓને પણ પ્રોત્સાહન મળે માટે મહિલા જિલ્લા પ્રમુખો નિમણૂક કરવા માટે સૂચન આપ્યું છે. વિસ્તારમાં રહ્યા વગર ચૂંટણી લડે અથવા કામ કરે છે તેમને હવે પ્રાધાન્ય નહીં આપવામાં આવે. જિલ્લામાં જે સારું કામ કરશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. સરકાર આવે સારું કામ કરનાર જિલ્લા પ્રમુખને સીએમ પણ બનાવવાની તૈયારી છે. ચૂંટણી લડાવવા પૂરતું વિસ્તારમાં જતા નેતાઓ માટે રેડ સિગ્નલ છે. નેતાઓને જમીન સાથે જોડાવા માટેની રાહુલ ગાંધીએ વાત કરી છે.
સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતાઓ રઘુ દેસાઈ, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, સિદ્ધાર્થ પટેલ, પ્રગતિ આહીર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, બિમલ શાહ, વીરજી ઠુમ્મર, શહેર મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ પૂર્વ શહેર મહિલા પ્રમુખ હેતા પરીખ, શૈલેષ પરમાર, તુષાર ચૌધરી પહોંચ્યા છે. સર્કિટ હાઉસ ખાતે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, સમયબદ્ધ કાર્યક્રમ નક્કી કર્યા છે. પ્રદેશ સમિતિના નામો અંગે પરામર્શ કર્યા બાદ નામોની જાહેરાત થશે. નિરીક્ષકોએ રાહુલ ગાંધી સાથે પ્રશ્નોતરી પણ કરી છે. 45 દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે. મારો તે સારો નહીં પણ સારો તે મારો તે મુજબ કાર્યવાહી થશે. સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લાનો પ્રમુખ બનશે. AICCના નિરીક્ષકોને જિલ્લાની ફાળવણી કરી દીધી છે. પ્રદેશના નિરીક્ષકો ક્યા જિલ્લામાં જશે તેનો નિર્ણય પ્રભારી લેશે.
પાલડી કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં તમામ નિરીક્ષકોને સૂચના આપવામાં આવી છે. 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકોની ટીમ જિલ્લામાં જશે. જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા સૂચના આપવામાં આવી છે. સામાજિક અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી નામો નક્કી કરાશે. 31 મે સુધીમાં 6 નામોની યાદી તૈયાર કરી AICCને મોકલવાની રહેશે. 31 મે સુધીમાં જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કરાશે.
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, અમદાવાદમાં બેસીને ગુજરાત નહીં ચાલે. જિલ્લામાંથી કોંગ્રેસને ચલાવવા કવાયત કરી છે. જિલ્લા પ્રમુખોની પસંદગી માટે રાહુલ ગાંધીએ માર્ગદર્શન આપ્યું છે. જિલ્લા પ્રમુખ કોઈ વ્યક્તિ કે જૂથનો નહીં હોય. આ પ્રક્રિયાથી બે પાંચ લોકોથી ચાલતી કોંગ્રેસ 200-500 આગેવાનોથી ચાલતી કોંગ્રેસ બનશે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, કોંગ્રેસની દિશા નક્કી કરવા રાહુલ ગાંધીએ માર્ગદર્શન આપ્યું છે. તેમજ ગ્યાસુદ્દીન શૈખે જણાવ્યું કે, નિરીક્ષકોએ 6 નામો નક્કી કરી પ્રદેશ કમિટીને મોકલવા પડશે. જિલ્લામાં તમામ આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કરી નામો નક્કી કરવામાં આવશે.
રાહુલ ગાંધી પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠન સર્જન અભિયાન હેઠળ નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકો માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રમુખોની પસંદગી માટેની રૂપરેખા તૈયાર કરાવામાં આવી છે. સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલ સહિત 43 AICCના નિરીક્ષકો, 6 સહનિરીક્ષકો અને 183 પ્રદેશના નિરીક્ષકો સાથે બેઠક યોજાઈ હતી. દરેક જિલ્લા અને શહેર પ્રમુખોની પસંદગી માટે 4 પ્રદેશના નિરીક્ષકો અને એક AICCના નિરીક્ષક એમ પાંચ નિરીક્ષકોની ટીમ જશે. 45 દિવસમાં 41 શહેર અને જિલ્લાઓના પ્રમુખોની નિમણુકો પૂર્ણ કરાશે.