જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડામણ, એક સૈનિક ઘાયલ; સર્ચ ઓપરેશન ચાલુ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં સુરક્ષા દળો એલર્ટ મોડમાં છે. પૂંછના લસાના ગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળો આ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં સુરનકોટના લસાના વિસ્તારમાં “ઓપરેશન લસાના” શરૂ કર્યું છે.

જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં સોમવારે રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરનકોટના લસાના ગામમાં આતંકવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ ગોળીબાર થયો હતો. ભારતીય સેનાના રોમિયો ફોર્સે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ઓપરેશન લસાના ચાલુ છે
આ સર્ચ ઓપરેશન વિશે માહિતી આપતા, ભારતીય સેનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી જણાવ્યું કે “ઓપરેશન લસાના, ગઈકાલે રાત્રે સુરનકોટના લસાનામાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો હતો. વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદીઓને ભાગી ન જાય તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.”

અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર દરમિયાન એક સેનાનો જવાન ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં એક એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી અને તેને સુરક્ષા દળોની મોટી સફળતા માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં રિક્ષામાં બેસાડવાની ના પડતા બે યુવક પર છરી વડે હુમલો, એકનું મોત

જ્યાં એક તરફ કિશ્તવાડમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં પણ સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. ખરેખર અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર એક સૈનિક શહીદ થયો હતો. ભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં અનેક સ્થળોએ ઓપરેશન હાથ ધર્યું.