‘આપણે એકવાર જીવીએ છીએ અને એકવાર મરીએ છીએ…’, રમખાણો પર CM મમતા બેનર્જીનું મોટું નિવેદન

Waqf Amendment Act: વક્ફ સુધારા કાયદાના વિરોધમાં થયેલી કોમી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તણાવનું વાતાવરણ છે. આ વિસ્તારમાં કેન્દ્રીય દળોની કંપનીઓ તૈનાત છે. આ હિંસાને લઈને ભાજપ સતત મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર હુમલો કરી રહી છે. તૃણમૂલ ભાજપ પર હિંસાનું રાજકારણ કરવાનો આરોપ લગાવી રહી છે. આ દરમિયાન આ બધાની વચ્ચે બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ રાજ્યમાં થયેલા રમખાણો અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

CM મમતાએ શું કહ્યું?
મુર્શિદાબાદમાં થયેલા તાજેતરના રમખાણો અંગે સીએમ મમતા બેનર્જીએ કહ્યું- “આપણે એકવાર જીવીએ છીએ અને એકવાર મરીએ છીએ. તો પછી રમખાણો કેમ થાય છે?” દરેક જાતિ અને ધર્મના લોકોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તેમણે કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. કેટલાક લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તમારે તેમને અવગણવા જોઈએ.”

કેવી રીતે ભડકી હિંસા?
હકીકતમાં ગયા અઠવાડિયે શુક્રવાર અને શનિવારે મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. મુર્શિદાબાદના સુતી, ધુલિયાં અને જાંગીપુર જેવા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા થઈ. માહિતી અનુસાર, આ હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.