“તું મારી મમ્મીને કેમ માર મારે છે” તેમ કહી પુત્રે પિતાની હત્યા કરી

છોટા ઉદેપુર: પાવી જેતપુર તાલુકાના બોરઘા ગામે “તું મારી મમ્મીને કેમ માર મારે છે” તેમ કહી પુત્ર એ જ પિતાની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પુત્ર તેના સાગરીત સાથે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં કળયુગી પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. “મારી મમ્મીને કેમ માર મારે છે” તેમ જણાવી માથા અને પગમાં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ તા.11મીના રોજ પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે રહેતા નગીન બાબુભાઈ રાઠવાના ઘરે પુત્ર બનસિંગ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ રાઠવા પોતાની મોટરસાયકલ લઈ રાત્રીના સમયે જઈ એકબીજા સાથે ઝઘડો – તકરાર કરી બાકાભાઈએ મૃતક નગીનભાઈને ધક્કો મારી નીચે જમીન પર પાડી ગળું પકડી રાખ્યું હતું અને પુત્ર બનસિંગએ લાકડા વડે પિતા નગીનભાઈને “મારી મમ્મીને કેમ માર મારે છે” તેમ જણાવી માથા અને પગમાં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઘાયલ કરી ઘટના સ્થળે જ મોત નીપજાવ્યું હતું.
આ ઘટના સંદર્ભે રામસીંગ મંગળીયાભાઈ રાઠવા (રહે. બોરધા, તા.પાવી જેતપુર, જિ.છોટા ઉદેપુર)એ નગીનભાઈ બાબુભાઈ ઉર્ફે બાબુડીયાભાઈ રાઠવાનું મોત નીપજાવનાર બનસિંગ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ ઉર્ફે બકલાભાઈ બાબુભાઈ રાઠવા વિરુધ્ધ કરાલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.