વિસાવદર ખાતે CM ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

જૂનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અંદાજે કુલ 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે વિસાવદર ભલગામ ખાતે જિલ્લા સહકારી બેંકનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. ખેડૂતોના સંતાનોને વગર વ્યાજે શિક્ષણ લોન મળશે.
વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પલેક્ષ, જૂનાગઢ શહેર, તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલના કુલ મળીને 36.95 કરોડના વિકાસકામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેર, તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડીંગના બાંધકામ, સબ રજીસ્ટ્રાર કચેરી, સીટી સર્વે કચેરી, માળીયા હાટીના મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને 57.13 કરોડના વિકાસ કામનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, ભગવાનજી કરગટીયા, કલેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે, કંઈ તકલીફ હોય તો જણાવજો આપણે દૂર કરીશું. ગઈકાલે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું હતું. હજુ ઉપરકોટ કિલ્લામાં વધુ વિકાસ થશે. આ સાથે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલને યાદ કર્યા હતા. PM નરેન્દ્ર મોદી વિકાસની રાજનીતિ વિકસાવી, તેમાં નાનામાં નાના માણસને લાભ થાય તેનો વિચાર કર્યો છે. વિકસિત ભારત વિકસિત ગુજરાતમાં રસ્તા, આરોગ્યના કામોને પ્રાથમિકતા આપી છે. એક સમયે પાકો રસ્તો ન હતો, વીજળી ન હતી, નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળ્યું અને રસ્તા, વીજળી, આરોગ્ય સુવિધા મળે તેવી વ્યવસ્થા કરી છે.
નાણાં ના અભાવે કોઈ કામ અટકે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાં એક કરોડનો વધારો તેમાંથી 50 ટકા પાણી માટે વાપરવા. આપણે તો પાણી વાપરીશું પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તેવું આયોજન, એક આંદોલન સ્વરૂપે લીધું છે. વરસાદી પાણીના સંગ્રહનો પ્રયાસ કર્યો છે. થયેલા કામો સાથે 634 કરોડના કામો થશે. જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં વિવિધ કામો માટે મુખ્યમંત્રીની જાહેરાત. હોસ્પિટલ માટે જમીન ફાળવી દીધી છે. તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ તમે ઉતાવળ કરશો એટલી જલ્દી હોસ્પિટલ બનશે. ભવિષ્યનો વિચાર કરીને વિકસિત ભારત સંકલ્પ માટે વિસાવદરના કામોને વેગ આપશે.
સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ જરૂર પ્રધાનમંત્રીના 9 સંકલ્પમાં સહભાગી થઈએ. પાણી બચાવીએ, બગાડ ન થાય, ગ્લોબલ વોર્મિંગથી બહાર નિકળવા વૃક્ષ વાવો ‘એક પૈડ માં કે નામ’ સંકલ્પ લઈએ, સ્વચ્છતા માટે સહભાગી થઈએ, બીજા પર ધ્યાન ન આપી આપણે સ્વચ્છતા રાખીએ, વોકલ ફોર લોકલ અપનાવીએ, વિદેશમાં જવાની ના નથી પરંતુ પહેલા આપણા રાજ્યમાં અને દેશમાં ફરવા જઈએ, ખેત ઉત્પાદનનું મુલ્ય વર્ધન કરવું, પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, મેદસ્વિતા ઘટાડવા અને આરોગ્ય જળવાઈ સ્વસ્થ જીવન હશે તો જીવન માણી શકીશું, યોગ અને રમત ગમત જીવનનો હિસ્સો બને, આયુષ્માન કાર્ડ કઢાવી લો, જેની પાસે આર્થિક સુવિધા છે એમણે બીજા માટે વિચાર કરવો જોઈએ.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, CMના હસ્તે વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી આભાર વ્યક્ત કરૂં છું. ખેતી આધારિત વિસ્તારમાં ખેતીના પ્રશ્નો હોય છે. સારા વરસાદથી સારૂં ઉત્પાદન થયું છે. તેમજ ખેતી પાકોના પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. ખેડૂતોને આર્થિક નુકસાની ન થાય તે માટે સરકાર કાળજી લઈ રહી છે. સરકાર ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થાય છે. મગફળીની ટેકાના ભાવે સરકારે ખરીદી કરી જેમાં 50થી 70 હજારનો ખેડૂતોને ફાયદો થયો છે. ખેડૂતોને વીજળી અને પોષણક્ષમ ભાવની જરૂર હોય છે. ત્યારે ખેડૂત વીજળી કનેકશન માગે તો ત્રણ મહિનામાં વીજળી કનેકશન મળે છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી આપનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ખેડૂતોને ધિરાણ માટે વગર વ્યાજે ધિરાણ મળે છે. સિંચાઇ માટે પ્રશ્નો હતા પરંતુ સૌની યોજના થકી નર્મદાનું પાણી પહોંચાડવા માટે કામગીરી ચાલું છે. આ સાથે સારા રસ્તા માટે મુખ્યમંત્રીએ ઉદાર હાથે મદદ કરી છે. નર્મદાના પાણી ગામેગામ મળે તેવું આયોજન સરકાર દ્વારા કરાયું છે. નલ સે જલ માટે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. બેંકના વહીવટી સંભાળ્યા પછી કીરીટ પટેલે સુંદર કામગીરી કરી છે તેથી તેમને અભિનંદન પાઠવું છું. આપણે સૌએ સાથે મળીને વિકાસ માટે કામ કરવાનું છે. મુખ્યમંત્રી સાથ સહકાર આપે છે માટે તેમનો આભાર વ્યક્ત કરૂં છું.
પૂર્વ જિલ્લા બીજેપી પ્રમુખ કીરીટ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વિસાવદર ભલગામ ખાતે જિલ્લા સહકારી બેંકનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી હવે ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. તેમજ ખેડૂતોના સંતાનોને વગર વ્યાજે શિક્ષણ લોન મળશે. આપણે સૌએ મુખ્યમંત્રી સાથે ખભેખભા મિલાવી ચાલીએ.
સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, જિલ્લાના સાંસદ તરીકે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું. રસ્તા, આરોગ્ય, વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રીએ ઝડપથી કામ કર્યું છે. સહકારી બેંકની બે શાખાના લોકાર્પણથી વિકાસ થશે. સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર કરનારને જેલમાં ધકેલ્યા છે. વિકાસ કાર્યો માટે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું.