‘મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે’: સાંસદ મનસુખ વસાવા

પ્રવિણ પટવારી, નર્મદા: ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે કહી વિરોધીઓને આડે હાથ લીધા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના અઘ્યક્ષ અર્જુન ચૌધરી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુ રાઠવા, સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા આજે પણ આકરા પાણીએ હતા અને તેમને નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા.
તેઓએ જણાવ્યું કે, મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે ભાજપ જ અપાવશે, કોંગ્રેસ નહિ અપાવે. દેશને સન્માન બધા જાણે છે. બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે. મનસુખ વસાવાએ પોતાની જીવનની પુરાની યાદો પણ તાજી કરી કે 1984ની ભાજપમાં જીતવા માટે નહીં પણ ભાજપના ચિન્હ માટે ચૂંટણી લડ્યો હતો. મને તે સમયે 1200 મત મળ્યા હતા. 1989-90ની વિધાનસભાની ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો. નવા કાર્યકર્તાઓએ જુના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
વધુમાં મોદી સાહેબ યુવાનોને પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે અને પીઢ નેતાઓએ સમર્થન આપવાનું છે તેમ પણ જણાવ્યું. વળી વકફ બોર્ડ પર કોંગ્રેસનું સામ્રાજ્ય હતું અને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નીચેનું તંત્ર બરાબર નથી. મંત્રી કુબેર ડીંડૉરનું પણ ધ્યાન દોર્યું છે ની વાત કરી ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ એવો ફાયદો થતો નથી એમ પણ જણાવ્યું. ડેડીયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે. ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે એટલે બધાને ચેતવવા માટે આવ્યો છું અને ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી પણ ભાજપના કાર્યકર્તા જાગૃત કરવા માટે આવ્યો છું તેવી વાત કરી હતી.