સુરતમાં પાણીપુરીવાળાને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ, અખાદ્ય જથ્થાનો કર્યો નાશ

અમિત રૂપાપરા, સુરત: જો તમે પાણીપુરી ખાવ છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે સુરત શહેરમાં પાણીપુરી બનાવનારા લોકોને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ત્યારે મોટાપાયે અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો અને તાત્કાલિક અસરથી સ્થળ પર જ અખાદ્ય પૂરી તેમજ બટાકાના મસાલાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે પાણીજન્ય રોગચાળાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા સુરતમાં અલગ અલગ જગ્યા પર પાણીપુરી બનાવનારાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને જે જગ્યા પર પાણીપુરીની પુરી તેમજ બટાકાનો મસાલો બનાવવામાં આવતો હોય તે તમામ જગ્યાઓ પર કઈ રીતે ફૂડ પ્રોસેસ કરવામાં આવે છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરતના પુણાગામ વિસ્તારમાં ફૂડ વિભાગના અધિકારી દ્વારા પાણીપુરી વિક્રેતાને ત્યાં તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, કેટલાક લોકો અનહાઇજેનીક તેલમાં પાણીપુરીની પુરી બનાવી રહ્યા છે. તેથી તાત્કાલિક અસરથી ફૂડ વિભાગ દ્વારા આ પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કેટલાક લોકો પાણીપુરીમાં ઉપયોગમાં આવતા બટાકા સડેલા અથવા તો અનહાઇજેનિક રીતે બટાકા બાફીને તેનો મસાલો તૈયાર કરતા હોવાનું સામે આવ્યું હતું. તેથી આવા બટાકાનો પણ ફૂડ વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગના અધિકારી દ્વારા ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે લોકો બીમાર ન પડે તે હેતુથી આ પ્રકારની ઝુંબેશ ઉનાળા દરમિયાન ચલાવવામાં આવતી હોય છે. ત્યારે લોકો વધારે પ્રમાણમાં પાણીપુરી ખાતા હોય છે ત્યારે કેટલાક પાણીપુરી વિક્રેતા લોકોના આરોગ્યને નુકસાન થાય તે પ્રકારે અનહાઇજેનિક રીતે પાણીપુરીની પુરી તેમજ બટાકાનો મસાલો તૈયાર કરતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે જગ્યા પરથી લોકોના આરોગ્યને જોખમાય તે પ્રકારનો મુદ્દામાલ મળી આવે છે તેનો નાશ સ્થળ પર જ કરવામાં આવે છે અને જે તે વ્યક્તિને નોટિસ પણ આપવામાં આવી રહી છે.