પ્રાંતિજ એક્સપરિમેન્ટલ કોલેજની માન્યતા રદ કરવા માગ, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભાવેશ ભોજક, પાટણ: પ્રાંતિજમાં આવેલ એક્સપેરિમેન્ટલ કોલેજમાં ચાલતી ગેરરીતિ પગલે તેની માન્યતા રદ કરવા તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલતી મોટાભાગની ખાનગી બી.એડ કોલેજોમાં ચાલતી ગેરરેતીની નિષ્પક્ષ તપાસ કરવાની માગ સાથે યુવા અધિકાર ન્યાય ચળવળના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે યુનિવર્સીટીના સત્તાધીશો સામે સુત્રોચ્ચારો પોકારી દેખાવો કરી રજીસ્ટારને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજની એક્સપરિમેન્ટલ કોલેજમાં તાજેતરમાં એમએસસી સેમેસ્ટર ચારની પરીક્ષામાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા તાપ દ્વારા ખુલ્લેઆમ વિદ્યાર્થીઓને ગેરરીતિ કરાવવામાં આવતી હતી. જે બાબતે યુવા અધિકાર ન્યાય ચળવળના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારે હોબાળો મચાવી યુનિવર્સિટીના રજીસ્ટર રોહિત દેસાઈને આવેદનનપત્ર આપી આ કોલેજમાં થયેલી ગેરરીતિની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવે અને તેના રિપોર્ટ આધારે આ સંસ્થાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. આ ઉપરાંત બાસ્પા કોલેજમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કર્યો હતો જે મુદ્દે કોલેજ દ્વારા વિદ્યાર્થી ઉપર પગલામાં લેવામાં આવ્યા છે, પરંતુ કોલેજ ઉપર કે જવાબદારો સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી તે અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલતી મોટાભાગની બી.એડ કોલેજો નિયમ વિરુદ્ધ ચાલે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી છેલ્લી બીએડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે તો મોટાભાગની નર્સિંગ અને અન્ય કોલેજો શોપિંગ સેન્ટરોમાં ચાલે છે તો આવી સંસ્થાઓને તાત્કાલિક બંધ કરવામાં આવે. ખાનગી સંસ્થાઓમાં ગેરરીતી થતી હોવાને પગલે સરકારી સંસ્થાઓમાં મહેનત કરીને પાસ થતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યું છે માટે એક અઠવાડિયામાં યુનિવર્સિટી દ્વારા આવી કોલેજો અને સંસ્થાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રોહિત દેસાઈએ આ બાબતે જણાવ્યું હતું કે, પ્રાંતિજ એક્સપરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમિસ્ટર ચારના વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા હોવાની યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા જાણ થતા યુનિવર્સિટી દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. સાથે જ પરીક્ષા દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ કોલેજમાંથી મંગાવ્યા છે અને પ્રાંતિજ કોલેજના સિનિયર અને જુનિયર અધ્યાપકોના ઓબ્ઝર્વ રિપોર્ટ પણ મંગાવ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જે સ્કોર્ડમાં ગયા હતા તેમના પાસેથી પ્રાથમિક અહેવાલ માગ્યો છે. બે દિવસમાં કમિટીના નિવેદનો લઈ કોલેજ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.