શ્યામવિલા હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત, ડોક્ટરે 50 હજારની ઓફર કરી હોવાનો આક્ષેપ

ભાવેશ ભોજક, પાટણઃ શહેરના સુભદ્રાનગરમાં આવેલી શ્યામવિલા હોસ્પિટલમાં મહિલાના સારણ ગાંઠના ઓપરેશન બાદ તેનું સારવાર દરમિયાન મોત થતા ડોક્ટરની બેદરકારીને કારણે જ મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા. આ ઉપરાંત પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બાબતે મહિલાના પતિએ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં અરજી આપી છે.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રહેતા કનૈયાલાલ સાધુની પત્ની રમીલાબેનને સારણ ગાંઠના ઓપરેશન માટે પાટણના સુભદ્રા નગરમાં આવેલી શ્યામ વિલા હોસ્પિટલમાં ડોક્ટર મુકુંદ પટેલને ત્યાં દાખલ કરવામાં આવી હતી. 1લી તારીખે મહિલાનું ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાર પાંચ દિવસ મહિલા દર્દીને હોસ્પિટલમાં જ રાખવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે જ મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો કરી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ, દર્દીના ઓપરેશન બાદ એક દિવસ પણ ડોક્ટર હોસ્પિટલમાં તેની સારવાર અર્થે આવ્યા નથી. દાખલ કરતી વખતે ડોક્ટરે અમને એવું જણાવ્યું હતું કે, સરકારી કાર્ડમાં ઓપરેશન કરાવશો તો દર્દીનો જીવ બચાવવાની મારી કોઈ જવાબદારી રહેશે નહીં પણ જો તમે રૂપિયા આપીને હોસ્પિટલમાં ઓપરેશન કરાવશો તો દર્દીનો જીવ બચાવી લઈશ. હોસ્પિટલમાં મહિલાના મોત બાબતે આ કેસને દબાવી દેવા ડોક્ટરે દર્દીના પરિવારજનોને પચાસ હજાર રૂપિયાની ઓફર કરી હોવાનું પણ મૃતકની દીકરી કાજલે જણાવ્યું હતું. મહિલાના મોત બાબતે તેના પતિ કનૈયાલાલ સાધુએ ડોક્ટર સામે કાર્યવાહી કરવા બી ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરી છે.

શ્યામ વિલા હોસ્પિટલના ડોક્ટર મુકુંદ પટેલના જણાવ્યા મુજબ, દર્દીનું ઓપરેશન કર્યા બાદ તેની તબિયત સારી હતી. અગાઉ પણ સાત વર્ષ પહેલા મહિલાએ ઓપરેશન કરાવ્યું હતું. તેના આંતરડા અને અન્ય અવયવોમાં બગાડ થયો હતો. આ સાથે જ મહિલાને શ્વાસ અને ડાયાબિટીસની તકલીફ પણ હતી. સારવાર દરમિયાન મહિલાને સ્વાસ્થ્યની તકલીફ તેને આઇસીયુમાં દાખલ કરવાની સલાહ દર્દીના પરિવારજનોને આપવામાં આવી હતી, પણ પરિવાર સહમત થયો ન હતો અને સવારે તેનું મોત થયું છે.