રાષ્ટ્રપતિએ વકફ સુધારા બિલને મંજૂરી આપી, નવો કાયદો અમલમાં આવ્યો

Draupadi murmu: સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે .જે સમગ્ર દેશમાં લાગુ થશે.
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં, વક્ફ સુધારા બિલના પક્ષમાં 128 અને વિરુદ્ધ 95 મત પડ્યા. અગાઉ લોકસભામાં તેના પક્ષમાં 288 મત પડ્યા હતા અને તેની વિરુદ્ધ 232 મત પડ્યા હતા. બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ આનો ભારે વિરોધ કર્યો. વિરોધ પક્ષોના નેતાઓએ તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને બિલ પાછું ખેંચવાની અપીલ કરી હતી.
બિલ અંગે સરકારનો દાવો
આ બિલ અંગે, સરકારનો દાવો છે કે તે વકફ વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપશે. ગરીબ મુસ્લિમો જે તેમના અધિકારોથી વંચિત હતા તેમને તેમના અધિકારો મળશે. દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
વકફ બિલને નામ મળ્યું
રાષ્ટ્રપતિ મુર્મુના સુધારા અને મંજૂરી પછી આ બિલનું નામ હવે યુનિફાઇડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) થઈ ગયું છે. આ કાયદો ખાતરી કરે છે કે મહિલાઓને વકફ મિલકતો પર સમાન વારસાગત અધિકારો મળે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ ગૃહમાં કહ્યું હતું કે, 2006 માં દેશમાં 4.9 લાખ વકફ મિલકતો હતી, જેનાથી ફક્ત 163 કરોડ રૂપિયાની આવક થતી હતી. 2013ના સુધારા પછી પણ આ આવકમાં માત્ર 3 કરોડ રૂપિયાનો વધારો થયો. હાલમાં દેશમાં 8.72 લાખ વકફ મિલકતો છે પરંતુ તેમનું સંચાલન અસરકારક બનાવવાની જરૂર હતી.