અમિત શાહની બસ્તર મુલાકાતની વચ્ચે તેંલગાણામાં 86 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિલાઓ

Telangana: ગૃહમંત્રી અમિત શાહની બસ્તરની મુલાકાત દરમિયાન તેલંગાણામાં 86 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. છત્તીસગઢમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ના કુલ 86 સભ્યો શનિવારે તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં હેમચંદ્રપુરમ પોલીસ મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં 20 મહિલાઓનો સમાવેશ થાય છે.
ચાર એરિયા કમિટી મેમ્બર્સ(ACM) સહિત 86 માઓવાદીઓએ નક્સલવાદનો હિંસક માર્ગ છોડી દેવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેઓ તેમના પરિવારો સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માગે છે. નક્સલીઓએ મલ્ટી ઝોન-1ના પોલીસ મહાનિરીક્ષક (IGP) એસ ચંદ્રશેખર રેડ્ડી સમક્ષ આત્મસમર્પણ કર્યું. જેમણે આત્મસમર્પણ કર્યું તેમને તાત્કાલિક સહાય તરીકે 25,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:અમિત શાહની નક્સલીઓને ખાસ અપીલ, ‘હથિયાર છોડીને મુખ્યધારામાં જોડાઈ જાવ’
ચારેય એરિયા કમિટી સભ્યો પર 4 લાખ રૂપિયાનું ઇનામ હતું
ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના પોલીસ અધિક્ષક(SP) બી રોહિત રાજુએ જણાવ્યું હતું કે, ચારેય એરિયા કમિટી સભ્યો(ACM) પર 4 લાખ રૂપિયાનું ઇનામ હતું. તેમણે કહ્યું કે નક્સલીઓએ ‘ઓપરેશન ચેયુથા’ હેઠળ આત્મસમર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયો માટે હાથ ધરવામાં આવી રહેલા વિકાસ અને કલ્યાણકારી પહેલ વિશે જાણ્યા પછી બધા નક્સલવાદીઓએ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ કેડરના 224 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે પ્રતિબંધિત સીપીઆઈ(એમ) જૂની વિચારધારા પર કામ કરી રહી છે. આદિવાસીઓમાં વિશ્વાસ અને સમર્થન ગુમાવ્યા પછી આતંકવાદીઓએ મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું.
તેલંગાણા પોલીસની અપીલ- આત્મસમર્પણ માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો
તેલંગાણા પોલીસે માઓવાદીઓને અપીલ કરી છે કે જે લોકો આત્મસમર્પણ કરવા માગે છે તેઓ તેમના પરિવારના સભ્યો દ્વારા અથવા વ્યક્તિગત રીતે તેમના નજીકના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા અધિકારીઓને જઈને આમ કરી શકે છે.