ગીરની કેસર કેરીને ગુજરાતના મુખ્ય ફળ પાકમાં સામેલ કરવા ખેડૂતોની માગ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીરમાં સિંહ બાદ કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. જે રીતે ગીરના સિંહ વન્યજીવ પ્રેમીઓમાં એક અલગ ઓળખ ધરાવે છે બિલકુલ તેવી જ રીતે ગીરની કેસર કેરી પણ સ્વાદના રસિકોમાં એક અલગ ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે. ત્યારે ગીરમાં થતી કેસર કેરીને ગુજરાતના મુખ્ય ફળ પાકમાં સામેલ કરવા ખેડૂતોએ માગ ઉઠી છે અને જે રીતે સૌરાષ્ટ્રની મુખ્ય પાક ગણાતી મગફળીને સહાય મળે છે તેજ રીતે કેસર કરીને સહાય આપવા માગ કરાઈ છે.

ગીરના સિંહ આજે સમગ્ર વિશ્વમાં વન્ય પ્રેમીઓમાં એક અલગ ઓળખ ધરાવે છે. આજે પણ વિશ્વના મોટાભાગના પ્રાણી સંગ્રહાલયમાં ગીરના સિંહોની ડણક સંભળાઈ રહી છે. જે રીતે ગીરનો સાવજ વિશ્વના સીમાડાઓ ઓળંગીને વન્યજીવ પ્રેમીની અપેક્ષાઓ પૂર્ણ કરી રહ્યો છે, બિલકુલ તેવી જ રીતે ગીરની કેસર કેરી પણ સ્વાદના રસિકો માટે સાવજથી જરા પણ ઉણી ઉતરે તેમ નથી. ગીરની કેસર કેરીના રસિકો આજે વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે જે ગીરની કેરી કેટલી પ્રખ્યાત છે તેનું દ્રષ્ટાંત પણ પૂરું પાડે છે.

જોકે ગીરમાં થતી આ કેસર કેરી ગુજરાતના મુખ્ય ફળ પાકમાં આજે પણ સામેલ નથી. પરિણામે પરંપરાગત રીતે કેસર કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં જોવા મળે છે. જેને ધ્યાને રાખીને કેરીની ખેતી સાથે સંકળાયેલા યુવાન અને પ્રગતિશીલ ખેડૂત ધવલ કોટડીયાએ ભારત સરકારના બાગાયત વિભાગને પત્ર દ્વારા ગીરની કેરીને માન-સન્માન અને ખેડૂતોને નુકસાનની સ્થિતિમાં વળતર મળે તેવી માગ કરી છે.

ત્યારે એપીએમસી ભારતીય કિસાન સંઘ તાલાલા માર્કેટીંગ યાર્ડ સમિતિ દર વખતે કેન્દ્ર સરકારમાં ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવે છે કે આ બાગાયત પાકને પ્રધાનમંત્રી ફસલ યોજનામાં સમાવેષ કરવામાં વર્ષો જૂની માગ છે પણ જે સત્ય ન હોય કારણો મળતા હોય. ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આંબાના પાકને સમાવેશ કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે. ત્યારે પાકને કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના જે આંબાઓનું કટીંગ થઈ રહ્યું છે તે 200 વીઘા ઉપર કટીંગ થઈ રહ્યું છે. તેને લીધે આંબા નાશ થશે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચશે. જો આંબા હશે તો પર્યાવરણ અને હવા સારી મળશે આંબાને જીવિત રાખવા હોય તો અને કોઈપણ વીમામાં સમાવેશ કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.

બાગાયત અધિકારી જણાવ્યું મુજબ આ વિસ્તારનો મુખ્ય પાક હોવા છતાં પણ હમણાં માટે પણ વીમામાં લાવવા માટે નીતિ વિશેષ બાબત છે. બાગાયત દ્વારા તેમજ ખેડૂતો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆત આવી છે તે ઉચ્ચ કક્ષાએ નિર્ણયની રાહમાં છે. ત્યાંથી જે નિર્ણય આવશે ખેડૂતો સુધી ચોક્કસ પહોંચાડશું.