મ્યાનમારમાં ભૂકંપ પીડિતો માટે રાહત સામગ્રી લઈ જનારા ચીની રેડ ક્રોસના કાફલા પર હુમલો

Myanmar Earthquake: મ્યાનમારમાં સેના સામે લડી રહેલા ‘થ્રી બ્રધરહુડ એલાયન્સ’ સાથે જોડાયેલા વિપક્ષી મિલિશિયાએ દાવો કર્યો છે કે સેનાએ મંગળવારે મોડી રાત્રે ચીની રેડ ક્રોસના નવ વાહનોના રાહત કાફલા પર ગોળીબાર કર્યો હતો. નોંધનીય છે કે, આ કાફલો માંડલે શહેર માટે રાહત સામગ્રી લઈ જઈ રહ્યો હતો, જ્યાં ગયા શુક્રવારે બપોરે 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને હજારો ઇમારતો નાશ પામી હતી, પુલ તૂટી પડ્યા હતા અને રસ્તાઓ ઉખડી ગયા હતા. આવી સ્થિતિમાં રાહત સામગ્રી લઈ જઈ રહેલા ચાઈનીઝ રેડક્રોસ પર હુમલાએ જોર પકડ્યું છે. જોકે, મ્યાનમાર સેનાનું કહેવું છે કે ચીની રેડ ક્રોસે તેમની હિલચાલ વિશે અગાઉથી માહિતી આપી ન હતી.

MRTV અનુસાર, મ્યાનમાર ભૂકંપમાં અત્યાર સુધીમાં 2,886 લોકો મૃત્યુ પામ્યા છે અને 4,639 લોકો ઘાયલ થયા છે, જોકે સ્થાનિક મીડિયાએ જાનહાનિનો આંકડો વધુ આપ્યો છે. ‘થ્રી બ્રધરહુડ એલાયન્સ’એ મંગળવારે માનવતાવાદી સહાયની સુવિધા માટે એકપક્ષીય એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી. જોકે, ભૂકંપ પછી હુમલાઓ ચાલુ રહ્યા છે. તાજેતરમાં જ, બ્રધરહુડ એલાયન્સ સાથે જોડાયેલા એક વિપક્ષી બળવાખોરે અહેવાલ આપ્યો હતો કે મંગળવારે મોડી રાત્રે ઉત્તર શાન રાજ્યના ઓહ્ન મા ટી ગામ નજીક એક રસ્તા પર ચીની રેડ ક્રોસના નવ વાહનોના રાહત કાફલા પર સેનાએ ગોળીબાર કર્યો હતો.

જાણો કાફલા પર હુમલો કેમ થયો
તાંગ નેશનલ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે ચીની રેડ ક્રોસ માંડલેમાં રાહત સામગ્રી લઈ જઈ રહ્યું હતું અને તેણે સેનાને તેના રૂટની જાણ કરી હતી. જોકે, લશ્કરી શાસનના પ્રવક્તા મેજર જનરલ ઝાવ મીન તુને સરકારી એમઆરટીવીને જણાવ્યું હતું કે કાફલાએ અધિકારીઓને તેના રૂટ વિશે અગાઉથી જાણ કરી ન હતી. તેમણે રેડ ક્રોસનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે, ઓહ્ન મા ટી ગામ નજીક ન રોકાતા કાફલાને રોકવા માટે સુરક્ષા દળોએ હવામાં ગોળીબાર કર્યો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ કહ્યું હતું કે “રેડ ક્રોસ સોસાયટી ઓફ ચાઇના દ્વારા મ્યાનમારને પૂરી પાડવામાં આવેલી રાહત સામગ્રી પડોશી દેશમાં પહોંચી ગઈ છે અને માંડલે જઈ રહી છે. બચાવ કાર્યકરો અને પુરવઠો સુરક્ષિત છે.”