બનાસકાંઠાના ખેડૂતો પશુઓનો સૂકો ઘાસચારો ખવડાવવા મજબૂર, વેપારીઓ પર મારે છે પડ્યા પર પાટું!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, વડગામ અને ધાનેરા પંથકમાં સિંચાઈનું પાણી ન હોવાને કારણે સૂકો ઘાસચારો પશુઓને ખવડાવવા અને મોંઘા ભાવે લેવા માટે ખેડૂતો મજબૂર છે. તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો પણ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. દર વર્ષે સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થાય છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણાને સૌરાષ્ટ્રથી આવતો ઘાસચારો કે જે ગુણવત્તાવિહીન હોય છે અને એને કારણે ખેડૂતોને પશુપાલન કરવું મુશ્કેલ બને છે. જો કે, ઘાસચારો લઈ આવનારા ટ્રકચાલકો હોય છે, તેમની પણ સ્થિતિ દુઃખદાયક હોય છે.

બનાસકાંઠામાં પાણી દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. આ સાથે ઉનાળામાં પશુપાલકોને પશુપાલન કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. પાલનપુર, ડીસા, વડગામ, અમીરગઢ, ધાનેરા પંથકમાં સિંચાઈનું પાણી ન હોવાને કારણે લીલો ઘાસચારો થતો નથી. જેને લઈને સૂકો ઘાસચારો મોંઘા ભાવે ખરીદી અને પશુઓને ખવડાવવો પડે છે. જો કે, આ ઘાસચારામાં માટી હોય છે અને ગુણવત્તાયુક્ત ઘાસચારો નથી હોતો. તેને કારણે પશુઓનું દૂધ પણ ઓછું થઈ જાય છે. એટલે ખેડૂતોની પણ માગણી છે કે, સરકાર જલદીથી આ સિંચાઈના પાણીની વ્યવસ્થા કરે તો ખેડૂતો સૂકા ઘાસચારો લાવવા માટે મજબૂર ન બને અને પશુપાલન થઈ શકે.

દર વર્ષે સૂકા ઘાસચારાના ભાવ વધતા જ જાય છે. આઠ રૂપિયાથી ચાલુ થઈ અને 13 રૂપિયા સુધી કિલો ઘાસચારાના ભાવ હોય છે. એટલે કે દર વર્ષે બધા ભાવોને કારણે પશુપાલક તો આર્થિક બરબાદ થઈ રહ્યો છે. આ સાથે પશુપાલન છોડવાની પણ નોબત આવે તેવી પરિસ્થિતિ છે. ખાસ કરીને ઉનાળામાં પશુઓના દૂધ ઓછા થઈ જાય છે. દૂધના ભાવ મળતા નથી અને જેને કારણે ભારતીય કિસાન સંઘે પણ સરકાર પાસે જલદીથી પાણીની વ્યવસ્થાની માગણી કરી છે.

ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઘાસચારાનો વેપાર કરતા વેપારીઓ ઉઠાવે છે. સૌરાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશથી ઘાસચારો અહીંયા મંગાવે છે અને મોંઘા ભાવે ખેડૂતોને વેચતા હોય છે. જો કે, ખેડૂતો મજબૂર હોય છે એટલે ખરીદવો પણ પડે છે. ત્યારે ઘાસચારો લઈને આવતા ટ્રકચાલકોને રાજસ્થાનથી પાલનપુર આવવા માટે 3000 રૂપિયા ચૂકવવા પડે છે. આરટીઓ પૈસા લીધા વગર ટ્રકને જવા દેતા નથી, એટલે કે 3000 જો એમાં જતા હોય તો આ ખેડૂતોને અહીંયા ઘાસચારો તો મોંઘો મળવાનો.