ઉનાળાની શરૂઆતથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા, ખેડૂતોમાં રોષ

કિરણસિંહ ગોહિલ, સુરતઃ વાત કરીએ જગતના તાતની લાચારીની. ઉનાળાની શરૂઆત થતાં જ ઓલપાડના કાંઠા વિસ્તારના પીજરત, દીહેણ સહિતના સાતથી આઠ ગામોના ખેડૂતો સિંચાઈના પાણીને લઈને લાચાર બની ગયા છે. ગામનું તળાવ, કૂવા, સિમની કોતરો સૂકી ભઠ્ઠ થઈ જતા કાંઠા વિસ્તારના ખેડૂતો અકળાઈ ઉઠ્યા છે.
સિંચાઈ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં ભાડૂત માઇનોર પર કોઈ સિંચાઈ અધિકારી નહીં ફરકતા ખેડૂતો સોશિયલ મીડિયા પર ભડાસ કાઢી રહ્યા છે. ત્યારે ન્યુઝ કેપિટલની અમારી ટિમ રિયાલિટી ચેક કરવા પહોંચી તો પીજરત ગામના ખેડૂતો જાતે કેનાલની સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા.
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પીજરત ગામે સિંચાઈ માટે ભાડુત માઇનોર, પીજરત તેલ માઇનોર જેવી અનેક કેનાલો પસાર થાય છે. પરંતુ ચાલુ વર્ષે કેનાલમાં પૂરતું પાણી નહીં આવતા પીજરત, દીહેણ સહિતના સાતથી આઠ ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. કેમ કે, ભરઉનાળે કેનાલમાં સિંચાઈના પાણી પૂરતા પ્રમાણમાં નહીં હોવાથી ખેડૂતો ડાંગર સહિતનો પાક બચાવવાં મેદાને પડ્યા છે.
ગામના કૂવા, કોતર, તળાવો સૂકા ભઠ્ઠ થઈ ગયા છે અને એ પણ ઉનાળાની શરૂઆતમાં જ. પીજરત સહિત આઠ ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે સિંચાઈ અધિકારીઓને સિંચાઈના પાણી માટે ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ કોઈ અધિકારી ખેડૂતની ફરિયાદ સાંભળતું નથી. એટલે ખુદ ભાજપના એક સમયના આખાબોલા નેતા એટલે કે પૂર્વ ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ કિરીટ પટેલે સોશિયલ મીડિયા પર સિંચાઈ વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા હતા.
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પીજરત, દીહેણ, મોટા ખોસાતિયાં સહિતના ગામોમાંથી ભાડુત માઇનોર અને ભાડુત માઇનોરમાંથી પીજરત તેલ સબ માઇનોર કેનાલ કાર્યરત છે. આ કેનાલ દ્વારા ગામના તળાવમાં પાણી ભરવામાં આવે છે અને તળાવના પાણીથી ખેતીના ઉપયોગમાં લેવાય છે. પરંતુ પીજરત ગામે તળાવ, કુવા, કોતર સુકાઈ જતા ખેડૂતો અકળાઈ રહ્યા છે.
પીજરત ગામના ખેડૂતો સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી કરીને થાકી જતા પહેલાં દીહેણ ગામના ખેડૂતોએ કેનાલ જાતે સાફ કરી હતી. આજે સવારથી પીજરત ગામના ખેડૂતો ટ્રેક્ટર સાથે ટાયર બાંધી અને તેના પર ખેડૂતો ઉભા રહી જીવના જોખમે કેનાલ સાફ સફાઈ કરી રહ્યા હતા. એકથી દોઢ કિલોમીટર જેટલી ભાડુત માઇનોર અને પીજરત ટેઈલ સબ માઇનોર કેનાલની સાફ સફાઈ કરી જાત મહેનતનો મેસેજ આપી લોકોને પીજરત ગામના લોકો મેસેજ આપી રહ્યા હતા કે, પોતાની સમસ્યાનું સમાધાન પણ પોતે જ કરવું જોઈએ.
ભાડુત માઇનોર કેનાલ પીજરત ગામ સુધી પહોંચતા પહોંચતા પીજરત, દભારી, ટુંડા, દીહેણ જેવા ગામો સુધી પાણી પહોંચતું જ નથી. ખેડૂતો રાત રાત પાણી માટે ઉજાગરા કરી રહ્યા છે. પમ્પ વડે પાણી લેવાથી ડીઝલ ખર્ચ વધે છે. ઘણીવાર તો ખેડૂતો પાણી માટે અંદરો-અંદર લડી પડે છે. ત્યારે સિંચાઈ વિભાગે પણ ખેડૂતોને સમયસર પાણી પહોંચે તે માટે યોગ્ય કામગીરી કરવી જોઈએ.