પાટણ ફૂડ વિભાગના પાર્થ એસ્ટેટમાં દરોડા, 51 લાખનો શંકાસ્પદ ઘી-તેલ જપ્ત

ભાવેશ ભોજક, પાટણઃ ઉંઝા હાઇવે પર આવેલા પાર્થ એસ્ટેટના બે ગોડાઉનમાંથી પાટણ ફૂડ વિભાગે 51 લાખનો જથ્થો સીઝ કર્યો હતો. તેનો રિપોર્ટ ગાંધીનગરની વડી કચેરી ખાતે મોકલતા આ જથ્થાની કુલ કિંમત એક કરોડથી વધુ આવતા ખળભળાટ મચ્યો છે.

પાટણ-ઉંઝા હાઇવે ઉપર આવેલા પાર્થ એસ્ટેટ નામના ગોડાઉનમાં શંકાસ્પદ ઘી અને તેલનું ઉત્પાદન કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા. આ રીતે બજારમાં મૂકી વેચાણ કરાતું હોવાની બાતમી પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓને મળી હતી. ત્યારે 11મી માર્ચના રોજ ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી. પરંતુ ગોડાઉન બંધ હતું. જેથી અધિકારીઓએ એફ.બી.ઓ. મોદી રાકેશભાઇ મુકેશભાઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ નહીં આવતા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા.

15 દિવસ બાદ વેપારી રાકેશભાઈ મોદી હાજર થતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ પોલીસ બંદોસ્ત સાથે બંને ગોડાઉનના સીલ ખોલી અંદર તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાંથી 16809 કિલો શંકાસ્પદ ઘી અને 388 કિલો શંકાસ્પદ તેલ મળી કુલ 51.25 લાખનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો મળી આવતા તે સીઝ કર્યો હતો. વિવિધ બ્રાન્ડના ઘીના 10 અને 1 તેલનો નમુનો લઈ તમામ નમુનાઓ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમગ્ર રિપોર્ટ ગાંધીનગર ફૂડ વિભાગની કચેરીને મોકલી આપ્યો હતો. ત્યારે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાર્થ એસ્ટેટના બંને ગોડાઉનમાં રેડ દરમિયાન સીઝ કરેલા ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો 17200 કિલો અને તેની કિંમત 1 કરોડથી વધુ હોવાની આંકી છે. જેને લઈ પાટણ ફૂડ વિભાગ અને ગાંધીનગર વડી કચેરીની રકમમાં વિસંગતતા સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે.