કરનાળી કુબેર મંદિરમાં વિવાદ, પરપ્રાંતિય ટ્રસ્ટીઓએ મનસ્વી રીતે પૂજારીને બહાર કાઢ્યાં

દિપક જોશી, ડભોઈઃ કરનાળી કુબેર ભંડારી મંદિરના વહીવટ અંગે ટ્રસ્ટીઓ વચ્ચેની વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કુબેર ભંડારી મંદિરમાં વારસાઈથી પરંપરાગત રીતે પૂજા વિધિ કરવાનો અધિકાર પૂજારીને આપવામાં આવે છે. ત્યારે હવે આ મંદિરના પૂજારીને પરિસરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને મનસ્વી રીતે ચેરિટી કમિશનરના હુકમનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. આ સાથે જ કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના નામથી વર્ષોથી મૂકવામાં આવેલી દાનપેટીઓ પણ હટાવી નાંખવામાં આવી છે. આ ઉપરાંત વહીવટ માટે પંચાયતી અખાડાની દાનપેટી અને રિસિપ્ટનો ઉપયોગ કરાતા ફરી એક વખત વિવાદ સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં હિન્દી ભાષી નવા બે ટ્રસ્ટીઓ સામે ત્રણ ગુજરાતી ટ્રસ્ટીઓએ મોરચો માંડ્યો છે. તેમણે સંમતિ વિના સંસ્થાનો મનસ્વી રીતે વહીવટ ન કરવા અને નાણાંકીય વ્યવહારમાં ગોટાળાની અરજ મામલે સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રિલ સુધી વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. તેવામાં પરપ્રાંતિય ટ્રસ્ટીઓએ કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના કર્મચારીઓના યુનિફોર્મ ઉતારાવી પંચાયતી અખાડાના યુનિફોર્મ પહેરાવી દીધા છે.
કુબેરેશ્વર ટ્રસ્ટની દાન પેટીઓ ખોલવા અંગે કેરીટી કમિશનરે એક સરકારી અધિકારીની ઉપસ્થિતિમાં દાન પેટી ખોલવાનો કરેલા હુકમનું ઉલ્લંઘન કરી હિન્દી ભાષી ટ્રસ્ટીઓએ મનસ્વી રીતે ચેરિટી કમિશનરે સીલ કરેલી 24 જેટલી દાનપેટી પરિસરથી ગાયબ હોવાની માહિતી સામે આવી છે.
આ ઉપરાંત મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓ દ્વારા દાન આપવામાં આવે છે, તેને વહીવટ માટે પંચાયતી અખાડાના રિસિપ્ટ આપવામાં આવી રહી છે.
પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવી મંદિરમાં પરંપરાગત વારસાઈથી વર્ષોથી સેવાપૂજા કરતા પૂજારી તુષાર ભટ્ટને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મુકતા માહોલ તંગ બન્યો હતો.
હાલ મંદિરના દરવાજાને પણ તાળા મારી દીધા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેથી પૂજારી તુષાર ભટ્ટ અને પ્રિતેશ ભટ્ટ ચાણોદ પોલીસ સ્ટેશન તથા એસપી કચેરીએ ફરિયાદ આપવા માટે પહોંચ્યા છે. મનાઈ હુકમ વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુના સમાન આવા કાર્ય બાબતે પોલીસ તાત્કાલિક પગલા ભરી રક્ષણ પૂરું પાડે તેવી માગણી કરી છે.