ATMમાંથી પૈસા ઉપાડવા પર લાગશે રૂ.23નો ચાર્જ, 1 મેથી લાગુ થશે નવી ફી

ATM withdrawal charges: 1 મે, 2025થી ATMમાંથી રોકડ ઉપાડના ચાર્જમાં વધારો થવા જઈ રહ્યો છે. માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર 2 રૂપિયાનો ચાર્જ વધારવામાં આવી રહ્યો છે. હવે આ નવો વધારો લાગુ થયા બાદ, ફ્રી લિમિટ પૂરી થયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારના રોજ ફ્રી લિમિટ પૂરી થયા બાદ ચાર્જમાં વધારાના અમલીકરણને મંજૂરી આપી છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, કોઈપણ ગ્રાહક એક મહિનામાં તેની બેંકના ATM માંથી 5 મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય સહિત) કરી શકે છે.

અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ હોય છે
બીજી બાજુ, જો તમે અન્ય બેંકના ATMનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે મેટ્રો શહેરોમાં મહત્તમ 3 અને નોન-મેટ્રો શહેરોમાં મહત્તમ 5 મફત વ્યવહારો કરી શકો છો. ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કર્યા પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. હાલમાં, ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થયા પછી, બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર તેના ગ્રાહકો પાસેથી મહત્તમ 21 રૂપિયા જ ચાર્જ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એવા બેંક ગ્રાહકો માટે મોંઘો પડશે જેઓ મહિનામાં ઘણી વખત ATMનો ઉપયોગ કરીને રોકડ ઉપાડે છે અથવા અન્ય કોઈ સેવાનો ઉપયોગ કરે છે.

સૂચનાઓ કેશ રિસાયકલર મશીનોને પણ લાગુ પડી શકે છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, “ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, ગ્રાહક પાસેથી પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ 23 રૂપિયા વસૂલવામાં આવી શકે છે.” આ 1 મે, 2025થી અમલમાં આવશે.” RBI એ જણાવ્યું હતું કે આ નિર્દેશો, જો જરૂર પડે તો ફેરફારો સાથે, કેશ રિસાયક્લર મશીનો પર કરવામાં આવતા વ્યવહારો પર પણ લાગુ થશે.