અમદાવાદ શહેર પોલીસે 1481 અસામાજિક તત્વોની યાદી બનાવી: પોલીસ કમિશનર જી.એસ મલિક

અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વસ્ત્રાલની ઘટના બાદ કરાયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા કુખ્યાત ગુનેગારો સામે કરાયેલી કાર્યવાહી બેઠકમાં ચર્ચા કરાઈ હતી. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા. તમામ ગુનેગારોને કાયદામાં રહેવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, શહેર પોલીસે 1481 અસામાજિક તત્વોની યાદી બનાવી છે. જેમાં 303 બુટલેગર સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ કરાયો છે. શહેરમાં ખડીયાની લૂંટ સિવાય કોઈ સેન્સેસનલ ગુના બન્યા નથી. છેલ્લા 10-12 વર્ષથી આરોપીઓને દર અઠવાડિયે બોલાવવામાં આવતા હતા તે બંધ થઈ ગયું છે. 353 ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી પૂછપરછ કરાઈ છે. પોલીસની ભાષામાં આ ગુનેગારોને ગુનાખોરી છોડવા કહ્યું છે, હવે દરેક રવિવારે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવશે. પાસાની કામગીરી પણ થઈ રહી છે. ગુનેગારોને કાયદાનો ડર લાગે તેવી કામગીરી પોલીસ કરશે. પોલીસ પર કામનું ભારણ પણ વધ્યું છે. પાસા, તડીપાર, ગુજસીટોકના કેસો કરવામાં આવ્યા છે. આ કામગીરી સતત ચાલુ રહેશે. પાસના આરોપીઓ પાસે પણ અપેક્ષા છે કે સુધરશે.
ક્યાં ગુનાના કેટલા આરોપીઓ
- બુટલેગર – 303
- જુગાર – 21
- શરીર સંબંધી – 687
- મિલકત – 424
- અન્ય – 46