સિદ્ધપુરમાં બિલોરી કાચથી હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા

સિદ્ધપુરઃ ઐતિહાસિક અને વૈદિક પરંપરાવાળી ધાર્મિક નગરી સિદ્ધપુરમાં દરેક તહેવારનું આગવું મહત્ત્વ છે. અહીં દરેક તહેવારો આગવી રીતે ઉજવવામાં આવે છે. સિદ્ધપુરમાં જોષીઓની ખડકીમાં હોળી પ્રગટાવવા માટે અગ્નિનો નહીં પરંતુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે.
વર્ષોની પરંપરા પ્રમાણે બિલોરી કાચથી હોળી પ્રગટાવવાની પરંપરા આજ પણ ચાલી રહી છે. સિદ્ધપુરમાં આવેલી જોષીઓની ખડકીમાં જ્યાં મોટાભાગે ભૂદેવ પરિવારો રહે છે. ત્યાં છેલ્લા 100 કરતાં વધારે વર્ષોથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે.
સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોઘડીયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણામાં ચાર ડોકા (ઘાસ) સળગાવી પિતાંબરધારી બ્રાહ્મણો દ્વારા પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાર પછી જ આજુબાજુના મહોલ્લાવાળા પિતાંબર પહેરી હોલિકામાંથી અગ્નિ લઈ જઈ પોતાની પોળ, મહોલ્લાના વિસ્તારમાં આ અગ્નિથી હોળી પ્રગટાવે છે.