પ્રાંતિજમાં વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવીને યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ ફરિયાદ છતાં કાર્યવાહી ન કરવાનો આક્ષેપ

સાબરકાંઠા: ગુજરાત સરકાર દીનપ્રતિદિનનું વધતા જતા વ્યાજખોરોના આતંક સામે કાયદાકીય જોગવાઈ કરી છે. જો કે, આજની તારીખે પણ વ્યાજખોરોની હિંમત વધતી જઈ રહી છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજના પગલું ગામના મિલન પટેલ નામના વ્યક્તિએ સ્થાનિક લોકો પાસેથી સામાન્ય વ્યાજે રૂપિયા 9 લાખ લીધા હતા. જો કે, ગાંધીનગર સરગાસણ ખાતે ડ્રાઇવરની નોકરી કરતા મિલન પટેલે 9 લાખ મૂળ રકમ પરત આપવાની સાથોસાથ રૂપિયા 7 લાખ વ્યાજના જમા કરાવ્યા હતા. તે છતાં વ્યાજખોરો દ્વારા હજુ પણ પઠાણી ઉઘરાણી યથાવત રખાતા આખરે જીવનથી ત્રાસી જઈ ઝેરી દવા ગટગટાવતા ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.
9 લાખની સામે 16 લાખ ભર્યા છતાં વ્યાજખોરો 70 લાખની પઠાણી ઉઘરાણી કરતા હતા. આ ઉપરાંત જમીન અને ગાડી પણ પડાવી લીધી હતી. તે છતાં ઉઘરાણી યથાવત રાખી હતી. ત્યારે ઉઘરાણીના ત્રાસથી કંટાળીને યુવકે વીડિયો બનાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોતાના વહાલસોયા દીકરાને બચાવવા પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે.
13 દિવસ પહેલાં વ્યાજખોરો સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. તે છતાં પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી કરી. ત્યારે આખરે ફરિયાદીએ દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી ન થતાં પરિવારમાં રોષ ફેલાયો છે. યુવાનના આપઘાતના પ્રયાસ પહેલાંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તયો છે.
કયા કયા વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ?
1. મિતેશ દશરથ પટેલ, રહે. ધડકણ, પ્રાંતિજ સાબરકાંઠા
2. ભરત મણાભાઈ પટેલ, રહે. વાસણા, ગાંધીનગર
3. અજાણી 2 સ્ત્રીઓ
4. ગફુર રબારી, રહે. જેનપુર