દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાતના વકીલોને કહ્યું, ‘વકીલાત સાથે ગુજરાતીમાં બોલવાની પણ શપથ લેજો’

જયેશ ચૌહાણ, અમદાવાદ: ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 11,300 જેટલા નવા નોંધાયેલા વકીલોએ એક સ્થળે, એક સમયે શપથ ગ્રહણ કરી એક નવો રેકોર્ડ સર્જ્યો હતો.
તુષાર મહેતા દ્વારા નવા નોંધાયેલા વકીલોને 4 સૂચન
દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નવા નોંધાયેલા 11,300 વકીલોને ગુજરાતી ભાષામાં સંબોધન કરતા કહ્યું હતું કે, મારી 60 વર્ષની વય છે અને ઉંમરના હિસાબે મારે તમને કેટલાક સૂચનો કરવા છે.
સૂચન 1 :-
તમે બધા આજથી શપથ લઈ વકીલાતના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો ત્યારે તમારા વકીલાતના જીવનમાં પૈસો રહે કે ન રહે પણ વિશ્વસનીયતા જિંદગીભર તમારી સાથે રહેશે એ વાતને તમે બધા ગાંઠ બાંધી લો. સાથે સાથે તમારે જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે તમારામાં સ્ટેન્ડ લેવાની તૈયારી પણ હોવી જોઈએ.
સૂચન 2 :-
વકીલાતના વ્યવસાયમાં તમારે કયારેય પણ સફળતાની પરિભાષાને આર્થિક રીતે ન મૂલવવી, સફળતાને તમે ગત વર્ષ કરતા આ વર્ષે સારા વકીલ બન્યા કે નહીં તે રીતે જુઓ. તમે સફળ વકીલ બનશો એટલે સ્વાભાવિક રીતે આર્થિક રીતે તમે સફળ થવાના જ છો.
સૂચન 3 :-
દેશના સોલીસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાતના વકીલોને ખૂબ જ મહત્વનું અને ગુજરાતી તરીકે એક ખૂબ જ મહત્વનું સૂચન કર્યું હતું. તુષાર મહેતાએ માતૃભાષા વિશે વાત કરતા કહ્યું હતું કે, હું ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવા પ્રત્યેની શરમ વધુ જોવ છું, કોઈ મોટા વ્યક્તિને જુએ કે તરત અંગ્રેજી બોલવાનું શરૂ કરી દે છે. આજે તમે બધા જ્યારે વકીલાતની શપથ લેવાના છો ત્યારે સાથે સાથે મારી માતૃભાષા બોલવાથી શરમાઈશ નહીં તેની પણ શપથ લેજો, જે ભાષામાં શપથ લો છો અને જે ભાષાને તમે પ્રેમ કરો છો એ ભાષા બોલવામાં શરમાવું જોઈએ નહીં.
આપણા લોકો મારા અંગ્રેજી પણામાં ગુજરાતીની લઢણ આવી જશે તેવો ડર રાખે છે પણ અંગ્રેજી બોલતા સમયે પંજાબના કે તમિલના લોકોની પણ તેમની માતૃભાષાની લઢણ આવે છે, પરંતુ છતાં પણ તેઓ આત્મવિશ્વાસ સાથે બોલે છે એમ તમારે પણ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલવું જોઈએ.
સૂચન 4 :-
હું દિલ્હીમાં જોવ છું કે ઇન્ટર્ન્સ આવે છે જેમને કાયદાનું જ્ઞાન તો હોઈ છે પણ તેમની પાસે શબ્દ ભંડોળ નથી હોતું માટે તમારે વકીલાતમાં આવ્યા બાદ કાયદા શાસ્ત્ર સાથે શબ્દ ભંડોળ પણ વધારવું જોઈએ. જેથી આપણે માત્ર કેટલાક શબ્દો પૂરતા જ સીમિત ન રહીએ. આપણે જોઈએ છે કે મોટાભાગના લોકો એક જ વાક્ય વધુ બોલે છે કે “યુ નો વોટ આઈ મીન”
સૂચન 5 :-
તમામના વ્યવસાયિક જીવનમાં હંમેશા ઉતાર ચડાવ આવશે જ પણ તમારે એક વાત યાદ રાખવી કે તમે સફળતાની સીડી ચડી રહ્યા હશો ત્યારે કેટલાય લોકોએ સીડી પર બેઠા હશે તો કેટલાય લોકો તમારાથી ઓછી ગતિએ ચડતા હશે અને તેમાંથી જ કેટલાય લોકો તમને સફળતાના શિખરે મળશે પણ એ લોકો ત્યારે તમારી સાથે પણ એવું જ વર્તન કરશે જેવું તમે ચડતી વખતે એમની સાથે કર્યું હશે.