ઉનાળા પહેલાં વડોદરામાં પીવાના પાણીનો કકળાટ, મહિલાઓએ માટલાં ફોડી વિરોધ કર્યો

પ્રશાંત વાઘેલા, વડોદરાઃ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. સમા બાદ હવે ગોરવા વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ થતા લોકો રોષે ભરાયા છે. રોષે ભરાયેલા નાગરિકોએ કેવી રીતે વિરોધ કર્યો છે.

વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીમાં લોકો તરસ છીપાવવા વધુ પાણી પીતા હોય છે પણ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પીવાનું પૂરતું પાણી તો ઠીક ચોખ્ખું પાણી પણ નથી આપવામાં આવી રહ્યું. તેના કારણે નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. વોર્ડ 8માં સમાવિષ્ટ ગોરવા ગામની જય શ્રી ખોડિયાર નગર સોસાયટી અને સોલંકી ફળિયામાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી આવે છે. દૂષિત પાણીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

મહિલાઓએ ‘પાણી આપો, પાણી આપો, ચોખ્ખું પાણી આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ માટલાં ફોડી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. મહિલાઓ એટલી રોષે ભરાઈ કે તેમણે સોસાયટી કે ફળિયામાં કોઈપણ રાજકીય પક્ષે મત માંગવા આવવું નહીં તેવા બેનર લગાવ્યા છે. બેનરમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, તેમજ ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીંના લખાણ લખ્યા છે. જેથી પાલિકાના શાસકો અને અધિકારી દોડતા થયા છે. દૂષિત પાણીનું કોન્ટાનિમેશન શોધવા ઠેર ઠેર અધિકારીઓએ ખાડાં પણ ખોદી નાંખ્યા છે. મહિલાઓએ કહ્યું કે, નેતાઓ મત લઈને જતા રહે છે પછી જોવા પણ નથી આવતા. દૂષિત પાણીના કારણે અનેક ઘરમાં લોકો બીમાર થયા છે.’

મહત્વની વાત છે કે, લોકો મિલકત અને પાણી વેરો સમયસર ભરે છે, છતાં પાલિકા નાગરિકોને દૂષિત પાણીનું વિતરણ કરે છે. કોર્પોરેશન પૂરતું અને ચોખ્ખું પાણી ન આપતી હોવાથી નાગરિકોને પીવા માટે પાણીના જગ મંગાવવા પડી રહ્યા છે. તેમજ પાણીના ટેન્કરમાંથી પીવાનું પાણી ભરવું પડે છે. ત્યારે વોર્ડ 8ના ભાજપના સ્થાનિક કોર્પોરેટર રાજેશ પ્રજાપતિએ સમગ્ર મામલે કોર્પોરેશને દૂષિત પાણીને લઈ ચિંતિત હોવાનું કહ્યું છે. આ સાથે જ પાલિકાના અધિકારી દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા કામગીરી કરી રહ્યા છે. તેમજ જૂની લાઈનો બદલી નવી મોટી લાઈનો નાખવાની કામગીરી ચાલુ હોવાનો દાવો પણ ભાજપ કોર્પોરેટર કરી રહ્યા છે.

મહત્વની વાત છે કે, ગોરવા વિસ્તારમાં અઢી મહિનાથી લોકો દૂષિત પાણીથી ત્રસ્ત છે. છતાં ચૂંટાયેલા નેતાઓ અને પ્રજા ટેક્સના પૈસાનો પગાર લેતા અધિકારીઓની ઊંઘ નથી ઉડી રહી. નેતાઓ અને અધિકારીઓ તો ROનું ચોખ્ખું પાણી પી રહ્યા છે, પણ નાગરિકોને દૂષિત પાણી પીવા પર છોડી દીધા છે. ત્યારે જવાબદારી સમજી માનવતાના ધોરણે નેતાઓ અને અધિકારીઓએ ત્વરિત નાગરિકોને ચોખ્ખું પાણી પૂરું પાડવું જોઈએ.