રમઝાનના તહેવારને લઈને પોલીસ સજાગ, સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવતા એક આરોપીની ધરપકડ

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 રવિ મોહન સૈની દ્વારા હાલમાં ચાલી રહેલા રમઝાન માસ દરમિયાન હિન્દુ-મુસ્લિમ બંને કોમ વચ્ચે સદ્ભાવના બની રહે, તેમજ બંને કોમ વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વૈમનસ્ય ફેલાવતા લોકો ઉપર નજર રાખી, અમદાવાદ શહેરની શાંતિને ડહોળતા તત્વોને ઝેર કરવા કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનની હદમાં ચુનારા વાસમાં અમન સાજા, અજજુ કાણિયાને અમિત ચુનારા તથા સુનિલ ચુનારા સાથે થયેલ અંગત અદાવતમાં સામાન્ય મારામારીનો બનાવ બની હતી અને જે સંબંધે વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડી તેમજ બંને પક્ષે અટકાયતી પગલાંની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ બાબતે વટવા વિસ્તારમાં રહેતા મહેંદી હુસૈન સૈયદ દ્વારા ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપર બનાવથી વિપરીત રજૂઆત કરતું અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવું, લાઈક મેળવવાની લ્હાયમાં ઇન્ટરવ્યૂ અપલોડ કર્યો હતો. રમઝાન માસમાં હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને શહેરની શાંતિ ડહોળાય એવા પ્રયત્નો કરવા બાબત તપાસ દરમિયાન તપાસ કરનારા પીએસઆઈ એબી ગંધાને જાણવા મળી હતી.

આ બાબતે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા બનાવની વિપરીત રજૂઆત કરતું ઇન્ટરવ્યૂ પોતાની જાતે બનાવી, બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને અમદાવાદ શહેરની શાંતિ ડહોળાય એ હેતુથી મૂકનારા મહેંદી હુસૈન મહેમુદુલ સૈયદ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પીબી ઝાલા, પીએસઆઈ અશ્વિન ગંધા તથા સ્ટાફના હેકો જગદીશસિંહ, યુવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા વટવાના ચુનારા વાસ વિસ્તારમાં રહેતા મહેંદી હુસૈન મહેમુદુલ સૈયદ ઉવ. 21 રહે. વટવા, અમદાવાદની તત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી મહેંદી હુસૈન સૈયદ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો શોખીન છે. ભૂતકાળમાં તેના પિતા દ્વારા પણ આરોપી રીલ બનાવવામાં વ્યસ્ત રહેતો હોવાની તથા કોઈ કામધંધો નહીં કરતો હોવાની રજૂઆત કરેલાનું પણ તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે.

અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 રવિ મોહન સૈની દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન અમદાવાદ શહેરની શાંતિ ડહોળવા, બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા ઈન્સ્ટાગ્રામ ઉપર બનાવથી વિપરીત રજૂઆત કરતી રીલ મૂકનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે શાંતિ અને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયામાં રીલ મૂકતા લોકો ઉપર પોલીસની નજર ચાલુ જ રાખવામાં આવી છે. કોઈ વ્યક્તિ દ્વારા આવી રીલ મૂકવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.