SEBIના પૂર્વ વડા માધવી પુરી બુચ અને અન્ય 5 લોકો સામે FIR નોંધાશે, મુંબઈ કોર્ટનો આદેશ

Mumbai court Orders: મુંબઈની એક ખાસ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ને SEBIના પૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે શેરબજારમાં છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના આરોપ માટે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

શનિવારે પસાર કરાયેલા એક આદેશમાં, ACB કોર્ટના ન્યાયાધીશ શશિકાંત બાંગરે જણાવ્યું હતું કે, નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમ દૃષ્ટિએ પુરાવા મળ્યા છે, જેના માટે નિષ્પક્ષ તપાસની જરૂર છે. કોર્ટે કહ્યું કે તે તપાસ પર નજર રાખશે અને 30 દિવસની અંદર કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો.

કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આરોપો એક કોગ્નિઝેબલ ગુનો જાહેર કરે છે, જેની તપાસ જરૂરી છે. તમને જણાવી દઈએ કે ફરિયાદીએ પ્રસ્તાવિત આરોપીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગુનાઓની તપાસની માંગ કરી હતી. જેમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી, નિયમનકારી ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સેબીના અધિકારીઓ તેમની કાનૂની ફરજમાં નિષ્ફળ ગયા, બજારમાં હેરફેરને સરળ બનાવ્યું અને નિર્ધારિત માપદંડોને પૂર્ણ ન કરતી કંપનીને લિસ્ટિંગ કરવાની મંજૂરી આપીને કોર્પોરેટ છેતરપિંડીને સક્ષમ બનાવી.