ગીર સોમનાથના સોનારીયા સહિતના ગામોના ખેડૂતો મરચાંની ખેતી કરી વર્ષે કમાય છે લાખો રૂપિયા

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના સોનારીયા ગામના મરચા ખૂબ જ પ્રખ્યાત છે. આખુ ગામ તેમજ આજુબાજુના 20થી વધુ ગામો પણ માત્ર મરચાની ખેતી પર નિર્ભર છે. અહીંની ભેજવાળી જમીન મરચાની ખેતીને માફક આવે તેવી હોવાથી ઉત્તમ કક્ષાનાં મરચાનું ઉત્પાદન થાય છે. ગુજરાતભરમાં અહીંનું મરચું વખણાય છે.

મરચાનું નામ સાંભળતાજ મોમાં તીખાશ ચડી આવે છે. તીખા તમ-તમતા લીલા મરચાના ગઢ એવા ગીર સોમનાથના સોનારીયા સહીત અનેક ગામના ખેડૂતો અહીં મરચાની ખેતી કરી વર્ષે લાખો રૂપિયા કમાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં અહીંના તીખા મરચાની મુખ્ય માગ છે. તમામ હોટેલો, રેસ્ટોરન્ટો, ખાણી-પીણીની લારીઓ અને મેટ્રો સિટીમાં અહીંના મરચા પ્રખ્યાત છે. અમદાવાદ, રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં અહીંના મરચાની ખૂબ માગ રહે છે. અહીંના મરચાની એક ગુણી 700થી 800 રૂપિયાના ભાવે વેચાય છે.

ગીર સોમનાથ જિલ્લામાં બાગાયતી પાક કેસર કેરી, નાળીયેરી બાદ ત્રીજું ઉત્પાદન અહીં મરચાનું થાય છે. અહીંના પ્રખ્યાત લીલા મરચા ગીર સોમનાથના સોનારીયા, નાવદ્રા, આજોઠા, ઈન્દ્રોઈ, મેઘપુર સહીતના ગામો છેલ્લા ઘણા દશકાથી ખૂબ સારા એવા પ્રમાણમાં ઉત્પાદિત થાય છે. લીલા મરચાની ખેતી માટે આ વિસ્તાર પ્રખ્યાત છે. અહીંની જમીન અને આબોહવા સાથે 35 ડીગ્રી તાપમાન મરચાને માફક હોય છે. જેથી કરીને અહીં ભારે માત્રામાં મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે. મરચાથી એક વીઘામાં એક લાખથી દોઢ લાખની આવક થાય છે. સામે મહેનત પણ એટલી જ રહે છે. આ ઉપરાંત ખેતી ખર્ચ પણ સારા એવા પ્રમાણમાં રહે છે. આમ છતાં અહીંનું મરચું ઉત્તમ પ્રકારનું હોવાને કારણે મહેનત પ્રમાણે ખેડૂતોને સારૂ એવું વળતર મળી રહે છે. અહીં મરચાની ખેતીનો સારો વિકાસ થયો છે. અહીંના લીલા મરચા અમદાવાદ, બરોડા સહીત હાઈવે હોટેલો રેસ્ટોરન્ટોમાં ભારે વેચાય છે.

ગીરના સોનારીયા સહિતના ગામોના મરચાની સમગ્ર ગુજરાતમાં માગ
નજીકના કાજલી માર્કેટિંગ યાર્ડમાં પણ મરચાના યોગ્ય ભાવ કિસાનોને હાલમાં તો મળી રહે છે. સોનારીયા ઉપરાંત આજુબાજુના 20 ગામના લોકો ટૂંકી જમીનમાં વધુ વાવેતર માટે માત્રને માત્ર મરચાની ખેતી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. 1500 વિઘાથી પણ વધુ જમીનમાં માત્ર મરચાનું પુષ્કળ ઉત્પાદન થાય છે. 35 કે 40 રૂપીયાના ભાવ એક કિલો અહીંના મરચાના આવે છે. એક વીઘામાં 45 હજારથી વધુનો ખર્ચ મરચાની ખેતીમાં ખેડૂતોને થાય છે. અહીંના 250થી વધુ ખેડૂતોને વર્તમાન સમયમાં મરચાના યોગ્ય ભાવ મળવાથી ખૂબ જ ખુશ જોવા મળે છે. મરચાના પાકનું સ્ટોરેજ થતું નથી કે નથી કોઇ ઢોર ખાઇ શકતા માટે થોડા સમયમાં તેને વીણીને બાચકા ભરી વેચવા જવુ પડે છે. વધુ પડ્યુ રહે તો બગડી જાય. મરચાની ઘણી બધી જાત છે પણ આ વિસ્તારમાં લવીંગયા, સિતારા, વીનર અને ધાંણીયાની ખેતી વધુ છે અને તેની માગ પણ ખૂબ જ છે. આ મરચા ઢોર ઢાંખર પણ ખાતા નથી આથી ખેડૂતોને વધુ નુકશાની થતી નથી.