PM મોદી આવતી કાલે નવી દિલ્હી ખાતે ‘જહાં-એ-ખુશરો’ 2025માં ભાગ લેશે

Jahan-e-Khusrau: PM નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે રાજધાનીમાં સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત મહોત્સવ ‘જહાં-એ-ખુશરો’ 2025માં ભાગ લેશે. PMOએ આજે એક નિવેદનમાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:30 વાગ્યે સુંદર નર્સરી, નવી દિલ્હી ખાતે ભવ્ય સૂફી સંગીત મહોત્સવ ‘જહાં-એ-ખુશરો’ 2025માં હાજરી આપશે.”

PMOએ જણાવ્યું હતું કે, PM દેશની વિવિધ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના મજબૂત સમર્થક રહ્યા છે અને અને આ અનુસંધાનમાં, તે સૂફી સંગીત, કવિતા અને નૃત્યને સમર્પિત આંતરરાષ્ટ્રીય મહોત્સવ‘જહાં-એ-ખુશરો’માં ભાગ લેશે. નિવેદનમાં જણાવાયું છે કે આ કાર્યક્રમ અમીર ખુશરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકસાથે લાવી રહ્યો છે.

વર્ષ 2001માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કલાકાર મુઝફ્ફર અલી દ્વારા શરૂ કરવામાં આવેલ આ મહોત્સવનું આયોજન રૂમી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાવાનો છે.

આ મહોત્સવ દરમિયાન, પ્રધાનમંત્રી તેહ બજાર (TEH- ધ એક્સપ્લોરેશન ઓફ ધ હેન્ડમેડ) ની પણ મુલાકાત લેશે. જેમાં એક જિલા-એક ઉત્પાદક શિલ્પ અને તેમાં દેશભરમાંથી વિવિધ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ, હસ્તકલા અને ટૂંકી ફિલ્મોનો સમાવેશ થશે.