પાટણ નગરનો 1280મો સ્થાપના દિવસ ઉજવાયો; ભવ્ય શોભાયાત્રા નીકળી

ભાવેશ ભોજક, પાટણ: સવંત 802મા વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી સ્થાપવામાં આવેલ ઐતિહાસીક નગર પાટણના 1280મા સ્થાપના દિવસની પાટણ શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ પાટણ ના નગરદેવી કાલિકામાતાજી મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રાને કુકડ ધ્વજથી રાજવીઓ, પાલિકા પ્રમુખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
શોભાયાત્રામાં બે બગીઓમાં રાજવીઓ, નગરપાલિકા પ્રમુખ હિરલ પરમાર બિરાજમાન થયા હતા. શોભાયાત્રામાં નગરસેવકો, વેપારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના લોકો અને શહેરીજનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં સિદી ધમાલ નૃત્ય અને આદિવાસી નૃત્ય, 15 ઘોડેસવારો સહિત રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. શોભાયાત્રા કાલિકા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ રતનપોળ, ત્રણ દરવાજા, હિંગળાચાચર થઈ બગવાડા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રાનું માર્ગો પર વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.