દિલ્હી મંત્રીમંડળમાં કોને કયું મંત્રાલય મળ્યું?, CM રેખા ગુપ્તાએ ગૃહ અને નાણા મંત્રાલય પોતાની પાસે રાખ્યું

Delhi Cabinet Portfolio: રેખા ગુપ્તાએ ગુરુવારે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે 6 મંત્રીઓએ પણ ઐતિહાસિક રામલીલા મેદાનમાં શપથ લીધા છે અને હવે રેખા ગુપ્તાના મંત્રીઓના વિભાગો વિભાજિત કરવામાં આવ્યા છે. CM રેખા ગુપ્તાએ ગૃહ અને નાણાં જેવા મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે રાખ્યા છે.

જ્યારે પૂર્વ CM અરવિંદ કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માને શિક્ષણ, લોક કલ્યાણ અને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. પરવેશ વર્માને છઠ્ઠા માળે એક ઓફિસ મળી છે. આ એ જ ઓફિસ છે જે એક સમયે મનીષ સિસોદિયાની હતી. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલના શાસનમાં મનીષ સિસોદિયા શિક્ષણ મંત્રી હતા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ થયા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.

કયા મંત્રીને કયો વિભાગ મળ્યો
CM રેખા ગુપ્તા – ગૃહ અને નાણા મંત્રાલય
Dy.CM પરવેશ વર્મા – શિક્ષણ, પરિવહન અને PWD મંત્રાલય
મનજિન્દરસિંઘ સિરસા – આરોગ્ય, શહેરી વિકાસ, ઉદ્યોગ વિભાગ
રવીન્દ્રકુમાર ઈન્દ્રજ – સમાજ કલ્યાણ, શ્રમ મંત્રાલય
કપિલ મિશ્રા – પાણી, પર્યટન, સંસ્કૃતિ મંત્રાલય
આશિષ સૂદ – મહેસૂલ, પર્યાવરણ, ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલય
પંકજકુમાર સિંહ – કાયદા અને હાઉસિંગ મંત્રાલય

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે AAPને હરાવીને 27 વર્ષ પછી સત્તામાં વાપસી કરી અને રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવ્યા. CM રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે તેઓ ફરી એકવાર દિલ્હીમાં વિકાસનો અમલ કરશે.

આજે સાંજે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે
મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ રેખા ગુપ્તા ગુરુવારે સાંજે યમુના આરતીમાં ભાગ લેશે. ત્યાર બાદ દિલ્હી કેબિનેટની બેઠક સાંજે 7 વાગ્યે યોજાશે. સૂત્રો મુજબ કેબિનેટ બેઠકમાં દિલ્હી માટે આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવશે. આ સાથે કેબિનેટમાં ઘણા વધુ નિર્ણયો લેવામાં આવી શકે છે.