614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળશે

આશુતોષ ઉપાઘ્યાય, અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગ્નાથની રથયાત્રા વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે હવે નગરદેવી ભદ્રકાળી માતાજીની પણ નગરયાત્રા 614 વર્ષ બાદ યોજાવા જઇ રહી છે. જે શહેરના અંદાજીત 6.5 કીમી વિસ્તારમાં ફરશે. નગરયાત્રાના પ્રસ્થાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવશે.

ભગવાન જગ્નાથ વર્ષમાં એકવાર નગરચર્યાએ નિકળીને ભક્તોને દર્શન આપે છે ત્યારે આગામી 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે નગરદેવી માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે.રથમાં માતીજીની પુદુકા મુકવામાં આવશે. રથયાત્રાની તર્જ પર જ આ યાત્રમાં ગજરાજ અખાડા, ટેબ્લો, ભજનમંડલીઓ યાત્રાની શોભા વધારશે. મંદીરના ટ્રસ્ટી શશિંકાંત તિવારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી માતાજીના નગરયાત્રા વિશે પ્લાનીંગ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ અમદાવાદના સ્થાપના દિવસને આ યાત્રા માટે પસંદ કરવામા આવ્યો છે અને આ નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
યાત્રાના રૂટની વાત કરવામાં આવે તો આ યાત્રા ભદ્રકાળી મંદીરથી શરૂ થઇને ત્રણ દરવાજા, ગૂરૂ માણેકનાથજી સમાધિસ્થાન, માણેક ચોક,  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનથી જગ્નાથ મંદીર અને ત્યાંથી રિવરફ્રન્ટ જશે. ત્યાર બાદ દુધેશ્વર ખાતે આવેલ મહાકાળી મંદીર થઇને અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદીર પહોચશે. વિવિઘ વિસ્તારમાં યાત્રાનું સ્વાગત અને આરતી કરવામાં આવશે.
આ યાત્રાને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોએ જણાવ્યું હતું કે માતાજીના દર્શન કરવાથી તમામની મનોકામના પુર્ણ થાય છે અને જ્યારે રથયાત્રા બાદ નગરદેવીની યાત્રા નિકળવાની છે ત્યારે દરેક શેહરીજનોએ આનો લાભ લેવો જોઇએ.. ભક્તોની સાથે સાથે ભદ્ર વિસ્તારમાં આવેલા પાથરણાવાળાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાથરણાવાળાઓએ જણાવ્યું હતું. યાત્રાથી સમગ્ર વિસ્તારમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને એક દિવસ ધંધો બંધ રાખીને પણ ગરબા રમીને માતાજીની ભક્તિ કરીશું.