સગાઈ તોડી નાંખતા યુવતીનો આપઘાત, મંગેતરે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં રહેતી યુવતી સાથે મંગેતરે દગો કરતા તેણે જીવન ટુંકાવ્યું છે. ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ નોકરીના સ્થળે જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે, તેણે આપઘાત પહેલાં લખેલી સુસાઇડ નોટે અનેક રાઝ ખોલી નાંખ્યા છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે રજનીકાંત પ્રજાપતિની ધરપકડ કરી છે. આ શખ્સે મંગેતરને સગાઈ બાદ સતત સગાઈ તોડવાની ધમકીઓ આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, મંગેતરને અંધારામાં રાખી અન્ય એક યુવતી સાથે પણ આડાસંબંધ બનાવ્યા હતા. તેની જાણ થતા મંગેતરે આ આરોપીને આવું ન કરવાનું કહેતા તેણે મંગેતરને જ તરછોડી દીધી હતી. મંગેતરે યુવતીનાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા તેના માતાએ દીકરીના મંગેતરના માતા-પિતાને જાણ કરી હતી. જો કે, તેમણે પણ ફરિયાદીના ઘરે આવી સગાઈ તોડી નાંખી હતી. જેના કારણે તે ડિપ્રેશનમાં પહોંચી ગઈ હતી. તેણે પરિવારજનો સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી નાખ્યું હતું અને અંતે જીવન ટૂંકાવ્યું હતું.
મંગેતરે સગાઈ તોડી નાંખતા યુવતી ડઘાઈ ગઈ હતી. જેની સાથે લગ્ન જીવનના સપના જોયા હતા, તેણે જ તેનો ઉપયોગ કરી તરછોડી દેતા તેણે નારણપુરા ખાતેના ક્લિનિક પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલાં તેણે આપવીતી લખી હતી. જેમાં યુવકે તેના શરીરનો ઉપયોગ કર્યો હતો અને અવારનવાર શારીરિક સબંધ બાંધ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, મારા જેવી અનેક યુવતી સાથે બળાત્કાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ સુસાઇડ નોટના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
યુવતીની સગાઈ 17 એપ્રિલ 2024ના રોજ BHMS ડોક્ટર રજનીકાંત પ્રજાપતિ સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ થઈ હતી. સગાઈના બે મહિના બાદથી મંગેતર સતત યુવતી સાથે સગાઈ તોડી નાંખવાની ધમકીઓ આપીને સંબંધ બનાવતો હતો. આ સાથે જ અન્ય યુવતી સાથે પણ આડાસંબંધ રાખતો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી મંગેતર રજનીકાંત ઉર્ફે રાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.