અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની-વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આધેડનો આપઘાત

મિહિર સોની, અમદાવાદઃ વાસણામાં કોન્ટ્રાક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અને વ્યાજખોરના કારણે આધેડે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. કોન્ટ્રાક્ટર કંપની પાસેથી 62.45 લાખ લેવાના નીકળતા હતા પરંતુ તે મળતા ન હતા. બીજી તરફ વ્યાજખોર ત્રાસ આપતો હતો. જેને કારણે કોન્ટ્રાક્ટરે અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, વાસણા વિસ્તારમાં આવેલા ભાલેશ્વર સોસાયટીમાં રહેતા જીતુભાઈ મકવાણાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં કિશોર, શ્યામલાલ મિત્તલ, હિમાંશુ મત્તલ અને ધવલસિંહ જાદવ વિરૂદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક જીતુભાઇ છેલ્લા 35 વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. જીતુભાઈએ અપૂર્વા કિર્તી ઇન્ફ્રાસ્ટકચર પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી સાણંદના વિરોચન નગર રેલવે સ્ટેશન પર બિલ્ડિંગ, ક્વાર્ટર બનાવવા સહિતનું કામ રાખ્યું હતું.

એમ ડિવિઝનના એસીપી એબી વાળંદ આ મામલે માહિતી આપતા જણાવે છે કે, જીતુભાઇ એગ્રીમેન્ટ મુજબ કન્ટ્રક્શનનું કામ કર્યા બાદ અલગ અલગ રકમના કુલ 1.31 કરોડના 6 બીલો કંપનીને આપ્યા હતા. જેમાં કંપનીએ કાચામાલ તરીકે આપેલા લોખંડના સળીયા, સીમેન્ટ, ક્રોંક્રિટ સહિતના માલના કુલ 54.64 લાખ રૂપિયા કાપીને બીજા 57.82 લાખ રૂપિયા જીતુભાઇના ખાતામાં નાંખ્યા હતા. જો કે જીતુભાઇએ કરેલા કામના કુલ રૂપિયા 62.45 લાખ લેવાના નીકળતા હતા. અનેક વખત માંગણી કરવા છતાં ચૂકવવામાં આવ્યા નહોતા.

જ્યારે તેમણે ખોરજના ધવલસિંહ જાદવ પાસેથી રૂપિયા 6 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતાં. ધવલસિંહ પણ જીતુભાઇ પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેથી તેમણે કંટાળીને 26મી ડિસેમ્બરના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, જીતુભાઈએ આપઘાત કરવા પાછળ કારણ ઇંગ્લિશમાં એક સુસાઈડ નોટ લખી છે કે, પ્રોજેક્ટ મેનેજર કિશોર પપ્પુ અને એમડી શ્યામલાલ મિતલ , કોર્ડીનેટર હિમાંશુને ઉલ્લેખી લખી છે કે, કામના બિલ પાસ ન કરતા આ પગલું ભરવું પડ્યું છે. આ સાથે જ એક વ્યાજખોર ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસ તપાસ કરતા અગાઉ પણ મૃતક જીતુભાઈએ 12 ઓક્ટોમ્બર 2023ના દિવસે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તેમના પુત્ર જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસને જાણ કરતા વાસણા પોલીસે કિશોર પપ્પુ અપુર્વા, કિર્તી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના કંપની પ્રોજેક્ટ મેનેજર, શ્યામલાલ મિત્તલ એમડી, હિમાંશુ મિત્તલ કો-ઓર્ડીનેટર અને ધવલસિંહ જાદવ વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.