ભારત વિરોધી નીતિ-ખાલિસ્તાની પ્રપોગેન્ડા અને ટ્રમ્પનો ગુસ્સો… જાણો કેનેડાના PM ટ્રુડોના પતનનું કારણ

અમદાવાદઃ ખાલિસ્તાની પ્રચાર અને ભારત વિરોધી એજન્ડાના આધારે રાજનીતિને ચમકાવનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો હવે પૂરા થઈ ગયા છે. લોકપ્રિયતાના અભાવ અને પક્ષમાં આંતરિક અસંતોષ જેવા કારણોસર ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું હતું.

ટ્રુડોએ 2013માં લિબરલ નેતા તરીકેની જવાબદારી સંભાળી હતી, જ્યારે પાર્ટી ગંભીર સંકટમાં હતી અને હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ વખત ત્રીજા સ્થાને આવી ગઈ હતી. ટ્રુડોએ બે વર્ષ સુધી કેનેડામાં જોરશોરથી પ્રચાર કર્યો અને ઑક્ટોબર 2015માં કેનેડામાં ચૂંટણીઓ યોજાઈ ત્યારે ટ્રુડોએ પ્રચંડ વિજય મેળવ્યો. આ ચૂંટણીમાં લિબરલ્સે 338માંથી 184 બેઠકો જીતી હતી. જ્યારે ટ્રુડોની પાર્ટીને 39.5 ટકા પોપ્યુલર વોટ મળ્યા છે. આ એક મજબૂત અને શક્તિશાળી સરકાર હતી.

ટ્રુડોની જીત કેટલી મોટી હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 2011ની ચૂંટણીમાં તેમની પાર્ટીને માત્ર 34 સીટો મળી હતી. જ્યારે 2015ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીને 184 બેઠકો મળી હતી. આ પછી ટ્રુડોએ 2019 અને 2021ની ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. પરંતુ દરેક જીત સાથે ટ્રુડોની નીતિઓ પરની પકડ નબળી પડી અને કન્ઝર્વેટિવ પાર્ટી પ્રબળ બની ગઈ. હવે સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે, ટ્રુડોને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ રાજીનામું આપવાની ફરજ પડી છે.

ભારત વિરોધી રાજનીતિ
કેનેડામાં ટ્રુડોની રાજનીતિ સંપૂર્ણપણે ભારત વિરુદ્ધ રહી છે. ટ્રુડોએ કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃતિઓ કરી રહેલા કટ્ટર ખાલિસ્તાનીઓને ચૂપચાપ સહન કર્યા, ઉપરાંત ત્યાંની પોલીસે તેમને કાનૂની રક્ષણ પણ આપ્યું હતું. કેનેડામાં જ્યારે પૂર્વ ભારતીય પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાને વાંધાજનક બતાવવામાં આવી ત્યારે ત્યાંની પોલીસે ચુપકીદી સેવી હતી. કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા થયા ત્યારે પણ ત્યાંની પોલીસ મૌન રહી હતી.

ટ્રુડો વિકસિત દેશોમાં સામેલ હતા, તેઓ ખાલિસ્તાનીઓની આ ક્રિયાઓની ટીકા કરશે અને તેમની પોલીસને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા તરત જ કહેશે તેવી અપેક્ષા હતી. પરંતુ તેઓ મૌન રહ્યા અને કેટલાક આતંકવાદીઓને તેમના મત માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. ટ્રુડોએ પોતે સ્વીકાર્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની તત્વો હાજર છે. જો કે, ટ્રુડોએ એમ કહીને પોતાનો ગુનો ઓછો કરવાનો પ્રયાસ કર્યો કે, તેઓ સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. ટ્રુડોના આ પગલાંથી એક સામાન્ય કેનેડિયન નાગરિકનો તેમના પીએમમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો.

ટ્રુડોએ ભારતમાંથી ફરાર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની ભૂમિકા પર ધ્યાન આપીને દ્વિપક્ષીય સંબંધોની ગરીમાનો નાશ કર્યો હતો. સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ કેનેડાની સંસદને કહ્યું કે, કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર પાસે એવું માનવા માટેનું કારણ છે કે “ભારત સરકારના એજન્ટોએ” કેનેડિયન નાગરિકની હત્યા કરી છે. ટ્રુડોના આરોપોને 16-17 મહિના વીતી ગયા છે, કેનેડા આ હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણીના નક્કર પુરાવા આપી શક્યું નથી.

ટ્રમ્પની જીત બાદ ટ્રુડોના ખરાબ દિવસ ચાલુ થયા
અમેરિકી ચૂંટણીમાં ટ્રમ્પની જીત ટ્રુડો માટે વધુ ખરાબ દિવસો લઈને આવી છે. જીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ કેનેડા પર 25 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પનું નિવેદન ટ્રુડો માટે આઘાતજનક હતું. તેણે તરત જ અમેરિકાની ફ્લાઈટ પકડી અને ટ્રમ્પને મળવા ગયા હતા. ટ્રુડો ગુપ્ત રીતે ટ્રમ્પને મળ્યા હતા અને તેમની સાથે રાત્રિ ભોજન કર્યું હતું. પરંતુ તેની મુશ્કેલીઓ દૂર થતી ન હતી. ટ્રમ્પે પણ ટ્રુડોને ડાબેરી પાગલ ગણાવીને તેમની મજાક ઉડાવી હતી. આ સિવાય ટ્રમ્પે ટ્રુડોને ‘કેનેડાના મહાન રાજ્યના ગવર્નર’ તરીકે સંબોધ્યા હતા. તેમણે કેનેડાને અમેરિકાનું ’51મું રાજ્ય’ બનાવવાનું સૂચન કરતા કહ્યું કે, આનાથી ટેરિફ અને વેપારના મુદ્દાઓ પર વાટાઘાટો સરળ બનશે.

બીજો ફટકો એલન મસ્કે આપ્યો
ટ્રુડોને બીજો ફટકો ટ્રમ્પના નજીકના સહયોગી અને પીઢ ઉદ્યોગપતિ એલન મસ્ક તરફથી આવ્યો છે. એલન મસ્કે ટ્વીટમાં કહ્યું કે, ટ્રુડો આગામી ચૂંટણી હારી જવાના છે. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં તેમની વિદાય નિશ્ચિત છે. એલન મસ્ક જેવા પીઢ ઉદ્યોગપતિના નિવેદનથી ટ્રુડોની પ્રતિષ્ઠાને ઊંડો ફટકો પડ્યો હતો. ટ્રુડો દેશની બહાર આ પડકારોનો સામનો કરી રહ્યા હતા, જ્યારે દેશની અંદર વિપક્ષ તેમના પર સતત પ્રહારો કરી રહ્યા હતા.

સરકારમાં રાજીનામાનો દોર
2024ના અંતિમ મહિનામાં ટ્રુડોની કેબિનેટમાં રાજીનામાની લહેર જોવા મળી હતી. 19 સપ્ટેમ્બર, 2024ના રોજ પરિવહન મંત્રી પાબ્લો રોડ્રિગ્ઝે રાજીનામું આપ્યું હતું. 20 નવેમ્બર, 2024ના રોજ આલ્બર્ટાના સાંસદ રેન્ડી બોઈસોનોલ્ટે રાજીનામું આપ્યું હતું. 15 ડિસેમ્બર, 2024ના રોજ હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે કૌટુંબિક કારણોને ટાંકીને આગામી ફેરબદલમાં કેબિનેટ છોડવાનો તેમનો ઈરાદો જાહેર કર્યો હતો.

16 ડિસેમ્બર, 2024ના રોજ ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે નાયબ વડાપ્રધાન અને નાણાંમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા પછી ટ્રુડો પાસે હવે તેમના પદ પર ચાલુ રહેવાનું કોઈ નક્કર કારણ નથી.