October 26, 2024

ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા આ 3 દેશોએ પોતાની એરસ્પેસ કરી દીધી બંધ

Israel: ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શનિવારે ઈરાનમાં ઘણા સૈન્ય લક્ષ્યો પર હુમલો કર્યો. તહેરાનને ચેતવણી પણ આપી છે કે જો તેણે તણાવ વધારવાની ભૂલ કરી તો તેની સામે બદલો લેવામાં આવશે. ઈઝરાયલના હુમલા બાદ ઈરાન, સીરિયા અને ઈરાકે પોતાની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઓપન સોર્સ ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightRadar24 અનુસાર, આ ત્રણ દેશોની ઉપર કોઈ એરક્રાફ્ટ ઉડી રહ્યું નથી. જોકે, ઈરાને હવે જાહેરાત કરી છે કે તે હુમલા બાદ ફ્લાઈટ ફરી શરૂ કરશે. ઈરાકે કહ્યું કે હુમલા બાદ તેણે નાગરિક ઉડ્ડયનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરસ્પેસ પર નિયંત્રણો લાદી દીધા છે.

IDF અનુસાર, શનિવારે સવારે ત્રણ તબક્કામાં આ હુમલા ઇઝરાયલી એરફોર્સ (IAF)ના સહયોગથી કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 1 ઓક્ટોબરે તેહરાન બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ હતો. ઈઝરાયલના સંરક્ષણ દળોએ કહ્યું, “આઇડીએફએ તેનું મિશન પૂર્ણ કર્યું છે. જો ઇરાની શાસન ફરીથી તણાવ વધારવાની ભૂલ કરશે તો અમે જવાબ આપીશું.” એ પણ કહ્યું કે IAF એરક્રાફ્ટ ઓપરેશનમાંથી સુરક્ષિત પરત ફર્યા છે.

ગંભીર પરિણામો ભોગવવા પડશેઃ ઈઝરાયલ
IDF એ કહ્યું, “જે લોકો ઈઝરાયલને ધમકી આપે છે અને આ ક્ષેત્રમાં તણાવ વધારવા માંગે છે તેઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. આજની ક્રિયાઓ ઈઝરાયલ રાજ્ય અને તેના નાગરિકોને આક્રમક અને રક્ષણાત્મક બંને રીતે બચાવવાની અમારી ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

આ પણ વાંચો: બાંગ્લાદેશના રસ્તાઓ પર હિંદુઓનું પ્રદર્શન, 8 માગણીને લઈ કર્યા સુત્રોચ્ચાર

IDFએ કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે એરફોર્સે ઈરાનમાં એવા ઉત્પાદન સ્થળોને નિશાન બનાવ્યા જ્યાં ગયા વર્ષે ઈઝરાયલ પર છોડવામાં આવેલી મિસાઈલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. IDFએ કહ્યું કે મિસાઇલો ઈઝરાયલના નાગરિકો માટે ‘સીધો અને તાત્કાલિક ખતરો’ છે. આ ઉપરાંત આ અભિયાનમાં ઈરાની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેનો હેતુ ઈરાની એરસ્પેસમાં ઈઝરાયલની ઓપરેશનલ સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો હતો.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વના પ્રવાસેથી પરત ફર્યા બાદ આ હુમલો થયો છે. તેમણે ઈઝરાયલી સત્તાવાળાઓને સંઘર્ષને વધારતા ટાળવા અપીલ કરી હતી.