October 22, 2024

ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે ખેડૂત સંમેલનનું આયોજન, ત્રણ જિલ્લાના 196 ગામમાં વિરોધ

જૂનાગઢઃ ભારતીય કિસાન સંઘ દ્વારા મેંદરડા માર્કેટીંગ યાર્ડમાં ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ઈકો સેન્સેટીવ ઝોનના કારણે ખેડૂતોને થનારી હાલાકીથી અવગત કરાવવા ખેડૂત સંમેલન યોજાયું હતું.

જૂનાગઢ સહિત ત્રણ જીલ્લાના 196 ગામોમાં હાલ ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. ગામેગામ ખેડૂત સંમેલનો થઈ રહ્યા છે, ભારતીય કિસાન સંઘ દ્વારા પણ ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોને અવગત કરવામાં આવી રહ્યા છે. કેવી રીતે ખેડૂતોને ઈકો સેન્સેટીવ ઝોનથી હાલાકી પડશે તેની માહિતી આપવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. ભારતીય કિસાન સંઘના આ કાર્યક્રમ અંતર્ગત મેદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે મેંદરડા અને માળીયા હાટીના તાલુકાના ખેડૂતો માટે ખેડૂત સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

ખેડૂતોના સંમેલનમાં આગામી દિવસોમાં સરકાર જો ઈકો સેન્સેટીવ ઝોન નહીં હટાવે તો જલદ આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે આગામી દિવાળીના તહેવારમાં કાળી ચૌદશના દિવસે 196 ગામના લોકો ઈકો ઝોનના પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કરશે. ખેડૂત સંમેલન બાદ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં અલગ અલગ 10 મુદ્દા સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ સાથે તાજેતરમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું હોય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.