October 7, 2024

હવે થશે શ્રીલંકાની ટીમનો ઉદય નક્કી, જયસૂર્યાને મુખ્યકોચની જવાબદારી

Sri Lanka Head Coach: અનુભવી બેટિંગ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાને શ્રીલંકન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. સોમવારે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ જયસૂર્યાને મુખ્ય કોચ બનાવવાનો નિર્ણય લીધો હતો. એસએલસીએ સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર (એક્સ) પર પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી દીધી છે. 55 વર્ષીય જયસૂર્યાને ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે ટીમના બેસ્ટ પર્ફોમન્સ અંગેનું આ ઈનામ હોવાનું માનવામાં આવે છે. શ્રીલંકાની ટીમે સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે. ટીમે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું, જોકે ટીમ 3 મેચની શ્રેણી 2-1થી હારી ગઈ હતી. આ પહેલા ટીમે ભારત સામેની વનડે શ્રેણીમાં 2-0થી જીત મેળવી હતી.

ફાઈનલ સુધી પહોંચી હતી શ્રીલંકાની ટીમ
જયસૂર્યાને સપ્ટેમ્બર મહિનામાં શ્રીલંકન ટીમના વચગાળાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જયસૂર્યાનો કાર્યકાળ 31 માર્ચ 2026 સુધી ચાલશે.સિલ્વરવુડના રાજીનામા બાદ જયસૂર્યાને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024માં ખરાબ પ્રદર્શન બાદ સિલ્વરવુડે રાજીનામું આપ્યું હતું. વાનિન્દુ હસરાંગાની કેપ્ટનશીપવાળી શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. તે બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. ટીમે સિલ્વરવુડના કોચશિપ હેઠળ 2022માં T20 એશિયા કપ જીત્યો હતો અને તેમના કાર્યકાળ દરમિયાન 2023 ODI એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

રન બાબતે માઈલસ્ટોન
T20 ફોર્મેટ ક્રિકેટમાં શ્રીલંકાની વાત કરવામાં આવે તો ટીમનું પર્ફોમન્સ ઠીક ઠીક રહ્યું છે. જયસૂર્યા ટીમને કોઈ નવી પોલીસીથી મજબૂત બનાવી શકે એમ છે. રન સ્ટ્રેટજીની સાથે વિનિંગ સ્ટ્રેટજી પર ફોક્સ કરીને તે ટીમને યોગ્ય રીતે ગાઈડ કરી શકે એમ છે. ટેસ્ટ, વન ડે અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં જયસૂર્યાએ ભલભલા ક્રિકેટરને પરસેવા છોડાવ્યા હતા. એમના કાર્યકાળમાં તેઓ શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પણ પુરવાર થયા હતા. વન ડે ફોર્મેટમાં 11 હજારથી વધારે રન કરીને શ્રીલંકન પ્લેયર્સમાં એક માઈલસ્ટોન ઊભો કર્યો છે.