October 1, 2024

150 પોલીસકર્મીઓએ સદગુરુના ઈશા ફાઉન્ડેશનની તપાસ કરી , હાઈકોર્ટે આપ્યો હતો આદેશ

Sadhguru Isha Foundation: પોલીસે તમિલનાડુના થોંડામુથુર સ્થિત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કોઈમ્બતુરના આસિસ્ટન્ટ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ અધિકારીઓની ટુકડીએ સદગુરુના આશ્રમની તપાસ કરી. પોલીસે આ કાર્યવાહી મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર કરી હતી જેમાં ફાઉન્ડેશન સામે નોંધાયેલા તમામ ફોજદારી કેસોનો અહેવાલ માંગવામાં આવ્યો હતો. સોમવારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ત્રણ ડીએસપી રેન્કના અધિકારીઓ પણ સામેલ હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ઓપરેશનનું ધ્યાન ત્યાં રહેતા લોકોની વિગતવાર ચકાસણી અને ત્યાં હાજર તમામ રૂમની તપાસ પર હતું. નોંધનીય છે કે, હાઈકોર્ટે કોઈમ્બતુર ગ્રામીણ પોલીસને તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ. કામરાજ દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો. કામરાજનો દાવો છે કે તેમની બે દીકરીઓને ફાઉન્ડેશનમાં બંદી બનાવીને રાખવામાં આવી છે.

ફાઉન્ડેશન પર બ્રેઈનવોશિંગનો આરોપ
ડો. કામરાજના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીઓ ગીતા કામરાજ (42) અને લતા કામરાજ (39)ને કોઈમ્બતુરમાં સદગુરુના ઈશા ફાઉન્ડેશન આશ્રમમાં કેદમાં રાખવામાં આવી છે. તેઓનો આરોપ છે કે આ સંગઠન લોકોનું બ્રેઈનવોશ કરી રહ્યું છે, તેમને સાધુ બનાવી રહ્યું છે અને તેમને તેમના પરિવારો સાથે સંપર્કમાં રહેવા દેતું નથી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુ ઉર્ફે જગ્ગી વાસુદેવના જીવનમાં દેખીતા વિરોધાભાસો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી શિવગનનમે કહ્યું કે જગ્ગી વાસુદેવ, જેઓ તેમના અનુયાયીઓ વચ્ચે સદગુરુ તરીકે જાણીતા છે, તેમણે તેમની પોતાની પુત્રીના લગ્ન કર્યા છે અને તેઓ સારી રીતે સેટલ છે. પરંતુ, તો પછી તે શા માટે અન્ય યુવતીઓને માથું મુંડાવવા, સાંસારિક જીવન છોડીને યોગ કેન્દ્રોમાં સંન્યાસીઓની જેમ જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. તમને જણાવી દઈએ કે આ મામલે ઈશા ફાઉન્ડેશનનું કહેવું છે કે અહીં કોઈને રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી.