September 19, 2024

ગુજરાતમાં આ વર્ષે વરસાદી આફતમાં 63 લોકોના મોત, રાહત કમિશનરે આપી જાણકારી

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં જ રાજ્યના કેટલાક ગામડાઓ હજુ પણ સંપર્કવિહાણા છે. તો રાજ્યમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે તો રાજ્યના 564 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદને કારણે 16 સ્ટેટ હાઈવે બંધ થયા છે. બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે 25 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને 1020 જેટલા વીજ પોલ ભારે પવનના કારણે જમીન દોષ છે. આવામાં ગાંધીનગરથી રાહત કમિશ્રનર આલોક કુમાર પાંડેએ યોજી પ્રેસ કોન્ફરન્સ યોજી આ વિશે માહિતી આપી હતી.

આજે SEOC ખાતે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનીની સમીક્ષા કરી હતી અને CM દ્વારા અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. જે બાદ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બરોડા અને સુરતમાં પાણી ભરાયા છે તે નિકાલ માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યાં જ 31 તાલુકામાં 1 હજાર mm સુધી વરસાદ થયો છે. જ્યારે કચ્છમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જોકે ઉત્તર ગુજરાત અને ઇસ્ટ ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર થયું પાણી-પાણી, ક્યાંક રસ્તા તો ક્યાંક ઘરો ડૂબ્યા; ભારે વરસાદ વચ્ચે 4 લોકોના મોત

રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદમાં 63 ના મોત થયા છે. ગઈકાલે વરસાદમાંબરોડામાં એક મોત થયું છે. રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવી રહી છે. તમામ જિલ્લામાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ત્યાં જ રિઝર્વ ટીમ અમદાવાદ અને ગાંધીનગર ખાતે રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે કુલ 323 પશુઓના મોત થયા છે. જે જિલ્લામાં પાણી ભરાયા છે ત્યાં લોકોને પીવાનું પાણી શુદ્ધ મળે તેવી સૂચના આપી દેવાઈ છે. પાણી ઉતરી જાય પછી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.