July 2, 2024

Ider-Himatnagar હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત

સાબરકાંઠા: ઈડર-હિંમતનગર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાઇ ગયો છે. અકસ્માતના પગલે ઈડર-હિંમતનગર હાઇવે પર વાહનોની લાંબી કતાર જામી ગઇ હતી. જોકે આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિકને હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી પણ સામે આવી છે. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-હિંમતનગર હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી નવીનીકરણ કામકાજને લઇ હાઇવેને વન-વે કરાયો છે. જેથી આવતાજતા તમામ વાહનો એક જ માર્ગ પર ચાલતા હોય છે. જોકે આજે ઈડર-હિંમતનગર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કારની અડફેટે કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. એક જ પરિવારના પાંચ લોકોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

આ પણ વાંચો: દેશમાં આ રાજ્યોમાં વરસાદની આગાહી, ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે વરસાદ

હાઇવે પર અકસ્માત સર્જાતા કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને ત્રણેય મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટન અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં જ ગંભીર રીતે ઘાયલ બે લોકોને પોલીસે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલમાં આ ઘટનાના સંદર્ભે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.