વાઘોડિયાના MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા 11મો નિ:શુલ્ક લગ્ન મહોત્સવ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

વડોદરા: વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજે 11મો નિ:શુલ્ક લગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા દસ વર્ષથી દરેક ધર્મ, કોમની દીકરીઓને પાનેતર પહેરાવવાના સંકલ્પ સાથે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિ:શુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરે છે. આ લગ્ન મહોત્સવમાં હિન્દુ, મુસ્લિમ બંને કોમના દિકરા-દીકરીઓના લગ્ન તેઓ એક મંચ પર જ કરતા હોય છે. આ વર્ષે સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 551 જેટલા નવદંપતીએ ભાગ લઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
આટલી મોટી સંખ્યાની અંદર યોજાયેલ સમૂહ લગ્નમાં તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરનાર નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. વાઘોડિયા તાલુકાના આમોદર પાસે આવેલ વાઘેશ્વરી ફાર્મ ખાતે વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ લગ્ન મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો રાજકીય આગેવાનો તેમજ વાઘોડિયા વિધાનસભાના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં આશરે 70 હજારથી વધારે લોકો ભોજન સમારંભમાં ભાગ લીધો હતો. તો બીજી તરફ દાંપત્ય જીવનની શરૂઆત કરનાર વર-વધુને યથાશક્તિ કન્યાદાન પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમના ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના માતૃશ્રીની ઈચ્છા હતી કે તેઓ આ પ્રકારના સામાજિક કાર્યો કરે અને વિશ્વમાં જે સૌથી શ્રેષ્ઠ દાન ગણાય છે તેવું કન્યાદાન કરે તેઓના માતાજીના સંકલ્પને સહકારિત કરવા માટે અત્યાર સુધી ધર્મેન્દ્રસિંહએ 11 જેટલા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે. આ વર્ષે લગ્ન મહોત્સવની સાથે સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 35 જેટલી દીકરીઓને દતક લીધી છે. જેમાંથી 15 જેટલી દીકરીઓને રોકડ રકમની સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે એનાયત કરાઈ હતી.