કાલથી બદલાશે મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ, ઇન્કમટેક્સ સહિત UPI સાથે જોડાયેલા નિયમો, જાણો તમામ માહિતી

1 April Rule Change: નવું નાણાકીય વર્ષ 2025-26 આવતીકાલથી એટલે કે 1 એપ્રિલથી શરૂ થશે. નવા વર્ષની શરૂઆત સાથે મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ, UPI વ્યવહારો, આવકવેરા અને GST સંબંધિત ઘણાં નિયમો બદલાશે. તેનાથી રોકાણકારો, કરદાતાઓ અને સામાન્ય લોકો પર અસર પડશે. તેથી, જો તમે મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ, UPI વ્યવહારો અથવા આવકવેરા સાથે સંકળાયેલા છો, તો તમારા માટે નિયમોમાં આ ફેરફારો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ (SEBI) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. ન્યૂ ફંડ ઑફર્સ (NFO) દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનું રોકાણ હવે 30 કાર્યકારી દિવસોમાં કરવું પડશે. જો કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) આ સમયગાળામાં રોકાણ કરવામાં અસમર્થ હોય, તો તેને રોકાણ સમિતિની મંજૂરીથી 30 દિવસનો વધુ સમય લંબાવી શકાય છે. જો 60 દિવસની અંદર રોકાણ કરવામાં નહીં આવે, તો AMCને નવા રોકાણો લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને રોકાણકારોને કોઈપણ દંડ વિના બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે.

સેબીએ સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (SIFs) નામની એક નવી શ્રેણી રજૂ કરી છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) વચ્ચેનો ક્રોસ હશે. આમાં ઓછામાં ઓછા ₹10 લાખનું રોકાણ કરવાની જરૂર પડશે. છેલ્લા ત્રણ વર્ષમાં જેમની સરેરાશ સંપત્તિ અંડર મેનેજમેન્ટ (AUM) ₹10,000 કરોડથી વધુ રહી છે, ફક્ત તે AMC જ તેને લોન્ચ કરી શકે છે.

ડિજીલોકરની સુવિધા
1 એપ્રિલથી રોકાણકારો ડિજીલોકરમાં તેમના ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ સ્ટેટમેન્ટ ડિજિટલ રીતે સ્ટોર અને એક્સેસ કરી શકશે. આનાથી દાવા વગરની સંપત્તિની સમસ્યા ઓછી થશે અને નોમિની માટે સંપત્તિ મેળવવાનું સરળ બનશે.

નવો ટેક્સ સ્લેબ
1 એપ્રિલથી નવો ટેક્સ સ્લેબ અમલમાં આવશે. નવા ટેક્સ માળખા હેઠળ સરકારે કરમુક્ત આવકની મર્યાદા ₹7 લાખથી વધારીને ₹12 લાખ કરી છે, જેનાથી મધ્યમ વર્ગના કરદાતાઓને મોટો ફાયદો થશે. નવી કર વ્યવસ્થામાં નવા કર સ્લેબ નીચે મુજબ હશે:

₹4 લાખ સુધીની આવક – કોઈ ટેક્સ નહીં
₹4 લાખ થી ₹8 લાખ સુધી – 5% ટેક્સ
₹8 લાખ થી ₹12 લાખ સુધી – 10% ટેક્સ
₹12 લાખ થી ₹16 લાખ સુધી – 15% ટેક્સ
₹16 લાખ થી ₹20 લાખ સુધી – 20% ટેક્સ
₹20 લાખ થી ₹24 લાખ સુધી – 25% ટેક્સ
₹24 લાખથી વધુની આવક – 30% ટેક્સ

GST અને ઈ-ઈનવોઈસિંગ માટેના નવા નિયમો
1 એપ્રિલ, 2025થી, 10 કરોડ કે તેથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 30 દિવસની અંદર ઈન્વોઈસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ઈ-ઈનવોઈસ અપલોડ કરવા જરૂરી રહેશે. અગાઉ આ નિયમ ફક્ત ₹100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને જ લાગુ પડતો હતો.

યુનિફાઇડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ લાગુ કરવામાં આવશે. આ યોજના કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શનની ગેરંટી આપશે. ઓછામાં ઓછા 25 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન તરીકે મળશે.

UPI વ્યવહારો સંબંધિત ફેરફારો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ (NPCI) બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ (PSPs) ને 31 માર્ચ, 2025 સુધીમાં તેમના ડેટાબેઝને અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો છે. રિસાયકલ અથવા નિષ્ક્રિય કરાયેલા મોબાઇલ નંબરોને કાઢી નાખવાની સૂચના આપવામાં આવી છે. જો તમારો મોબાઇલ નંબર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ના નિયમો હેઠળ બ્લોક કરવામાં આવ્યો હોય, તો તમારી બેંક અને UPI એપ તેને તેમના રેકોર્ડમાંથી દૂર કરી શકે છે, જે UPI સેવાઓને અસર કરી શકે છે. તેથી, ખાતરી કરો કે તમારું બેંક ખાતું સક્રિય મોબાઇલ નંબર સાથે જોડાયેલું છે.

ટીડીએસ મુક્તિ:
1 એપ્રિલ, 2025થી, લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશમાં અભ્યાસ કરતા બાળકોની ફી અથવા અન્ય ખર્ચ માટે 10 લાખ રૂપિયા સુધી મોકલવા પર કોઈ ટીડીએસ લાગશે નહીં. અગાઉ, 7 લાખ રૂપિયાથી વધુની રકમ પર 5% TDS ચૂકવવો પડતો હતો.