September 12, 2024

હિંદુઓ પર હુમલાની ખબર વાસ્તવિકતા કરતાં અલગ… ‘યુનુસે કહ્યું- બાંગ્લાદેશમાં બધુ બરાબર’

Bangladesh: બાંગ્લાદેશમાં હિંસા બાદ હજુ પણ પરિસ્થિતિ બરાબર નથી. હિંદુઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે અને જીવન સામાન્ય થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના સમાચારો વાસ્તવિકતા કરતા અલગ બતાવવામાં આવે છે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી, મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટના રોજ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા. સરકારી નોકરીઓમાં અનામત સામે વિદ્યાર્થીઓના વિરોધ બાદ શેખ હસીના (76)ને રાજીનામું આપવું પડ્યું હતું અને તે 5 ઓગસ્ટે દેશ છોડીને ભારત આવ્યા હતા.

બાંગ્લાદેશમાં જીવન સામાન્ય
બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકારે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે અને સમગ્ર દેશમાં જીવન સામાન્ય થઈ રહ્યું છે. યુનુસે કહ્યું કે લઘુમતીઓ પર હુમલાના અહેવાલો અતિશયોક્તિપૂર્ણ છે અને તે ભારતીય પત્રકારોને બાંગ્લાદેશ આવવા અને લઘુમતી સુરક્ષા મુદ્દાઓ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા આમંત્રણ આપી રહ્યા છે.

યુનુસે શનિવારે (આજે) ઢાકાથી ઓનલાઈન થર્ડ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટમાં હાજરી આપવા માટે ભારતીય નેતાનું આમંત્રણ પણ સ્વીકાર્યું હતું. ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. તેમણે કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. લાલ કિલ્લાની પ્રાચી પરથી તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને તેની વિકાસ યાત્રામાં બાંગ્લાદેશનું શુભચિંતક રહેશે.

હિંદુ ધર્મ પર હુમલો
બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સ, એક બિન-રાજકીય હિન્દુ સંગઠને દાવો કર્યો છે કે 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી સમુદાયને 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલાઓ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સંગઠને તેને હિન્દુ ધર્મ પર હુમલો ગણાવ્યો છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટની અપીલ ફગાવ્યા બાદ પહેલી પ્રતિક્રિયા, પત્રમાં છલકાયું દર્દ

બાંગ્લાદેશને ભારતનું સમર્થન
બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે, આ મહિને ઘણા હિંદુ મંદિરો, ઘરો અને લઘુમતી સમુદાયના વ્યવસાયિક સંસ્થાઓનો નાશ કરવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની પુનઃપુષ્ટિ કરી.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ વિવિધ વિકાસ યોજનાઓ દ્વારા બાંગ્લાદેશના લોકોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.

લઘુમતીઓની સુરક્ષાને પ્રાથમિકતા
જ્યારે મોહમ્મદ યુનુસે ખાતરી આપી હતી કે વચગાળાની સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતી જૂથોની સુરક્ષાને પ્રાથમિકતા આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ તેમની સંબંધિત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીતો પર પણ ચર્ચા કરી હતી.

નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
મુખ્ય સલાહકારના કાર્યાલયમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વડા પ્રધાને નજીકના મિત્ર તરીકે લોકોના હિત માટે બાંગ્લાદેશ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે ભારતના વડાપ્રધાને લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે યુનુસે તેમને કહ્યું કે તેમની સરકાર લઘુમતીઓ સહિત દેશના દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.