September 17, 2024

અમદાવાદની સ્કૂલ ઓફ એચિવર્સમાં ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લઇને તપાસ કરવામા આવી હતી. જેમાં અમદાવાદના મણીનગર ખાતે આવેલ સ્કૂલ ઓફ એચિવર્સ સ્કૂલમાં પણ ખામીઓ સામે આવી છે. સ્કૂલ દ્વારા બેઝમેન્ટમાં વર્ગો ચલાવવામા આવતા હોવાનુ સામે આવ્યું છે. તેમજ, શાળા પાસે ફાયરના પુરતા સાધનો ન હોવાનુ ખૂલ્યું છે. ત્યારે, આ સમગ્ર મામલે શાળાને બે દિવસમાં ખુલાસો કરવા માટે ડીઇઓ દ્વારા નોટિસ આપવામા આવી છે.

અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વાારા મણીનગર ખાતે આવેલી સ્કૂલ ઓફ એચિવર્સમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા સ્કૂલની પાસે પુરતા ફાયરના સાધનો ન હોવાનુ સામે આવ્યુ છે સાથે સાથે શાળા દ્વારા બેઝમેન્ટમાં ક્લાસ ચલાવવામા આવતા હોવાનુ ઉપરાંત ઇલેકટ્રીકના ખુલ્લા વાયરો હોવાનુ સામે આવ્યુ છે. શાળા પાસે અવરજવર માટે પણ ફક્ત એક જ ગેટ હાોવાનુ સામે આવ્યુ હતુ.

ન્યુઝ કેપીટલની ટીમ જ્યારે શાળામા પહોચી ત્યારે પણ વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં અભ્યાસ કરતા હોવાનુ સામે આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટિસ આપવા છતા પણ સ્કૂલ સુધરવાનુ નામ નથી લઇ. આજે પણ વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં અભ્યાસ કરતા નજરે પડ્યા હતા. કોઇ ઘટના ઘટે તો પણ કોણ જવાબદાર તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આ સમગ્ર મામલે શાળાના સંચાલકે લુલો બચાવ કર્યો હતો. શાળાના સંચાલક જીતુભાઇ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે આ શાળામા જે પણ ખુલ્લા વાયરો હતા તેનુ કામ પુર્ણ કરવામા આ્વ્યુ છે જ્યારે આ કોમર્શીયલ બિલ્ડીગ હોવાને કારણે તે અંગે પાણ કામગીરી કરી દેવાની બાંહેધરી આપવામા આવી હતી. ઉપરાંત ફાયરના નિયમોની જાણ નહોવાથી ફાયરના એસ્ટીગ્યુશર રિફીલ કરાવવા માટે આપવામા આવ્યા છે જ્યારે હાલમાં પુરતી વ્યવસ્થા નહોવાને કારણે વિદ્યાર્થીઓને બેઝમેન્ટમાં બેસાડવામા આવ્યા હતા જે આવતીકાલથી બેસાડવામા નહી આવે.

તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યુ હતુ કે સ્કૂલના સંચાલક અને આચાર્યને નોટિસ ફટકારી છે અને આ તમામ બાબતોની નોંધ લઈને જોખમી સ્કૂલ અંગે ખુલાસો બે દિવસમાં રૂબરૂમાં આવી રજૂ કરવા જણાવ્યું છે. અન્યથા સ્કૂલ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સ્કૂલને જાણ કરવામાં આવી છે.